ભરૂચ : થાઇલેન્ડથી આવેલો વ્યકતિ ઓબ્ઝર્વેશન વોર્ડમાં ન જતાં લોકોનો હોબાળો
ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલી એક સોસાયટીમાં થાઇલેન્ડથી પરત ફરેલો રહીશ ઓબ્ઝર્વેશન વોર્ડમાં રહેવાના બદલે સોસાયટીમાં ફરતો હોવાથી લોકોએ હોબાળો મચાવી દીધો હતો. આખરે પોલીસની મદદથી તેને અવિધા ખાતે આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો.
ભરૂચ શહેરમાં કોરોના વાયરસના પગલે વિદેશથી આવેલા લોકોને આઇસોલેશન વોર્ડમાં રાખી તેમની સઘન તપાસ કરવામાં આવી રહી છે. ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલી એક સોસાયટીના રહીશ તેમના પરિવાર સાથે થાઇલેન્ડ ફરવા માટે ગયાં હતાં. થાઇલેન્ડથી પરત આવ્યાં બાદ તેઓ આઇસોલેશન વોર્ડમાં રહેવાના બદલે તેમના ઘરે રહેવા લાગ્યાં હતાં. સોસાયટીના અન્ય રહીશોએ વારંવાર વિનંતી કરી હોવા છતાં તેઓ ટસના મસ થતાં ન હતાં. સોસાયટીના રહીશોમાં ડર ફેલાતાં આખરે તેમણે પોલીસને જાણ કરી હતી.
પોલીસની દરમિયાનગીરી બાદ તેમને અવિધા ખાતે ઉભા કરાયેલાં ઓબ્ઝર્વેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યાં હતાં. તેમના પરિવારની બે મહિલાઓ પણ હાલ તબીબી દેખરેખ હેઠળ છે. તેમને અવિધા ખસેડવામાં આવ્યાં બાદ સોસાયટીના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.