ભરૂચ : નર્મદા નદીમાંથી સાણંદના યુવકનો મૃતદેહ મળ્યો, જુઓ સ્યુસાઇડ નોટમાં યુવકે શું લખ્યું હતું..!
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તરફના દક્ષિણ છેડે નર્મદા નદીના કિનારે સાણંદના યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જોકે સ્યુસાઇડ નોટ મળી આવતા તેમાં જીવનથી કંટાળી આત્મહત્યા કરી હોવાનો મૃતકે ઉલ્લેખ કર્યો હતો. સમગ્ર મામલે અંકલેશ્વર શહેર પોલીસે આત્મહત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તરફના દક્ષિણ છેડે નર્મદા નદીના કિનારે પાણીના વહેણમાં એક યુવાનનો મૃતદેહ જોવા મળ્યો હતો. તે જોતાં સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકી અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે મૃતદેહના કપડાની તલાસી લેતા સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં સાણંદના નર સરોવર રોડ પર આવેલ ભગવતી સોસાયટીમાં રહેતો 23 વર્ષીય નરેશ પરમાર હોવાનું જણાવ્યુ હતું. મૃતક નરેશ પરમારે સ્યુસાઇડ નોટમાં પોતાના જીવનથી કંટાળી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ પોતાની આત્મહત્યા પાછળ કોઈ જવાબદાર નથી તેવું પણ સ્યુસાઇડ નોટમાં સાફ લખાણ લખ્યું હતું. બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર પોલીસને જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી નરેશ પરમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આત્મહત્યા અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે