ભરૂચ : અંકલેશ્વર GIDCમાંથી મળ્યો યુવકનો મૃતદેહ, જુઓ ઘટના સ્થળેથી પોલીસને બીજું શું મળ્યું..!
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ અવાવરું જગ્યાએથી એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી કનોરિયા કેમીકલ કંપનીની સામે આવેલ અવાવરું જગ્યામાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં તપાસ કરતાં યુવકના મૃતદેહ નજીક લોહીથી ખદબદ પથ્થર, રોકડ રકમ અને આધાર કાર્ડ મળી આવ્યું હતું. જેમાં મૃતક યુવક સારંગપુર નજીક લક્ષ્મણનગરમાં રહેતો પપ્પુ મંડલ હોવાનું સામે આવતા પોલીસની એક ટીમને તેના રહેણાંક સ્થળે પણ તપાસ અર્થે મોકલવામાં આવી હતી. હાલ તો યુવકની હત્યા કરાઇ હોવાનું પોલીસ દ્વારા પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે, ત્યારે આ મૃતક યુવકની હત્યા કોણે અને કેમ કરી છે, તે મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.