ભરૂચ : દહેગામ પાસે સંગ્રહ કરાયેલા પાણીના તળાવની પાળ તુટી, જુઓ પછી શું થયું
વડોદરા અને મુંબઇ વચ્ચે નવા એકસપ્રેસ હાઇવેના નિર્માણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન ભરૂચના દહેગામ પાસે તળાવની પાળ તુટી જતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડુતોમાં રોષ ફેલાયો છે.
ભરૂચ જિલ્લાના દહેગામ પાસે વડોદરા- મુંબઇ એકસપ્રેસની કામગીરી સ્થાનિક ખેડુતો માટે આફત લઇને આવી છે. રસ્તાની કામગીરી માટે કંપનીએ પાણીનો સંગ્રહ કરવા માટે હંગામી તળાવ બનાવ્યું છે. આ તળાવની પાળ અચાનક તુટી જતાં પાણી આસપાસના ખેડુતોના ખેતરોમાં ફરી વળ્યાં છે. ખેતરોમાં તૈયાર થયેલાં પાકને નુકશાન થતાં ધરતીપુત્રો કંપનીની બેદરકારી સામે રોષ ઠાલવી રહયાં છે. હાલ દહેગામમાં વગર વરસાદે ખેતરો જળબંબાકાર જોવા મળી રહયાં છે. 40 થી 50 એકર જેટલી જમીન જળબંબાકાર બની જતાં ખેડુતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. મગ,તુવેર,ઘઉં,મઠીયા અને જુવારના પાકોને નુકશાન થતાં ખેડુતોએ બ્રિજ બનાવતી કંપની પાસે વળતરની માંગણી કરી છેે.