ભરૂચ : ઉમલ્લાની સરસ્વતી શિશુ વિદ્યામંદિરમાં માતૃ-પિતૃ પુંજન સહિત પુલવામા શહિદોને શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે સરસ્વતી
શિશુ વિદ્યામંદિર શાળામાં તા. ૧૪ ફેબ્રુઆરીના રોજ માતૃ-પિતૃ પુંજન દિવસની ઉજવણી
કરવામાં આવી હતી. ઉપરાંત ગયા વર્ષે તા. ૧૪ ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરમાં
પુલવામા ખાતે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના કાફલા પર થયેલ આંતકવાદી હુમલામાં ૪૦
જવાનો શહિદ થયા હતા. તે ઘટનાને આજે ૧૪મી ફેબ્રુઆરીએ એક વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે સરસ્વતી વિદ્યામંદિર ખાતે શાળા પરિવાર દ્વારા પુલવામા શહિદોને
શ્રધ્ધાંજલી આપીને શહિદોના ભવ્ય બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પુલવામા ખાતે
થયેલા આંતકવાદી હુમલાને ૧ વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે
રાષ્ટ્રભરમાં ઠેરઠેર પુલવામાના વીર શહિદોને શ્રધ્ધાંજલી આપવાના કાર્યક્રમો યોજાઇ
રહ્યા છે. ઉમલ્લાની સરસ્વતી વિદ્યાલય ખાતે શ્રી રંગ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ
રશ્મિકાંત પંડ્યાએ બાળકોને માતૃ-પિતૃ દિવસનું મહત્વ સમજાવ્યુ હતું. ઉપરાંત
સંસ્થાના નિયામક અંજના પંડ્યાએ પણ પ્રસંગોચિત વક્તવ્ય રજૂ કર્યુ હતુ. કાર્યક્રમને
અંતે શાળા પરિવારે ઉપસ્થિત મહેમાનોનો આભાર માન્યો હતો.