ભરૂચ: કોંગ્રેસનાં ગઢમાં ગાબડા, વાગરામાં કોંગ્રેસનાં કેટલા કાર્યકરોએ કર્યા કેસરિયા જુઓ
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અગાઉ વાગરા તાલુકા કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે. કોંગ્રેસનાં 200થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા હતા.
વાગરા ખાતે ભારતીય જનતા પાર્ટીની સંગઠનની બેઠક મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસ પક્ષમાંથી વાગરા વિધાનસભાના યુવા કોંગ્રેસના મહામંત્રી ઇમરાનભાઈ ભટ્ટી ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા હતા. વાગરા તાલુકાના વસ્તીખંડાલી, પખાજણ, ખોજબલ, ચાંચવેલ ગામના કોંગ્રેસના આગેવાન મુબારક મોહમ્મદ તેમજ તેમના ટેકેદારો અને કાર્યકરોએ પણ કેસરિયો ધારણ કરી લીધો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રના, વાગરા તાલુકા ભાજપ પ્રમુખ જીતેન્દ્રસિંહ સિંધા સહિતના આગેવાનોએ કાર્યકરોને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા.
તો ભાજપનો ભગવો ધારણ કરનાર ઇમરાનભાઈ ભટ્ટીએ જણાવ્યુ હતું કે તેઓ ભાજપની વિકાસ યાત્રાને આગળ ધપાવવા પક્ષમાં જોડાઈ રહ્યા છે.