અંકલેશ્વર : ઇદે મિલાદના પર્વની ઉજવણી અંગે મુસ્લિમ અગ્રણીઓ અને પીઆઇ વચ્ચે બેઠક યોજાઇ
અંકલેશ્વર શહેરમાં ઇદે મિલાદની ઉજવણી સંદર્ભમાં શહેર પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમ અગ્રણીઓ અને પીઆઇ વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં ઇદે મિલાદના જુલુસ નહિ કાઢવાનો નિર્ણય લેવાયો છે. અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં પીઆઇ રબારીની અધ્યક્ષતામાં એક અગત્યની મિટિંગ મળી હતી જેમાં અંકલેશ્વર શહેર તાલુકા ઇદે મિલાદુન્નબી કમિટીના આગેવાનો અને સભ્યો હાજર રહયાં હતાં. કમિટીના સભ્યોએ ઇદેમિલાદની ઉજવણી માટે મંજુરીની માંગ કરી હતી. જેના સંદર્ભમાં પીઆઇએ જણાવ્યું હતું કે, આ બાબતે એસપી તથા એસડીએમ સાથે ચર્ચા કરી આગળનો નિર્ણય લેવામાં આવશે.
કમિટીના સભ્ય વસીમ ફડવાલાએ જણાવ્યું હતું કે સરકારની ગાઇડ લાઇન હાલ વધુમાં વધુ 400 માણસોની હાજરીમાં કાર્યક્રમો યોજી શકે છે એમ છે પરંતુ દર વર્ષે જે રીતે શહેરમાં ફક્ત એક જુલુસ નીકળતું હોવાના કારણે માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે. જો 400 કરતાં વધારે માણસો આવે તો ગાઇડલાઇનનું ઉલ્લંઘન થાય તેમ છે. હાલની પરિસ્થિતિ જોતા જુલુસ કાઢવું શક્ય નથી જેથી બધા વિસ્તારના લોકો પોતપોતાના વિસ્તારમાં ઇદે મિલાદુન્નબીની ઉજવણી તથા જે કાંઈ ધાર્મિક વિધિ છે તે સરકારશ્રીની ગાઈડલાઇનના પાલન સાથે ઉજવાય તેવી વિનંતી કરવામાં આવી હતી, આ પ્રંસગે કમિટીના બખ્તિયાર પટેલ, વસીમ ફડવાલા, ફારૂકભાઈ શેખ, હનીફ મલેક, ગ્યાસુદ્દીનભાઈ શેખ, અમજદ પઠાણ, ફારૂક શેખ, હનીફ ભરૂચી, શબ્બીરહુસેન પપ્પુ, શેરઅલીખાન, મોહમ્મદ અલી શેખ, નજમુદ્દીન ભોલા, સાદિકભાઈ શેખ, સેફાન શેખ, અમાન પઠાણ સહિતના આગેવાનો હાજર રહયાં હતાં.