અંકલેશ્વર: જયાબેન મોદી હોસ્પિટલમાં ભાજપા પ્રદેશ પ્રમુખ હસ્તે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ
જયાબેન મોદી હોસ્પિટલમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખશ્રી સી.આર. પાટીલ દ્વારા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું
કોરોનાની સંભવીત ત્રીજી લહેરને પહોંચી વળવા સરકારે કમર કસી.. જયાબેન મોદી હોસ્પિટલમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખશ્રી સી.આર. પાટીલ દ્વારા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું..
કોરોનાની બીજી લહેર બાદ હવે ત્રીજી લહેર કેટલી ઘાતક હશે એ તો કોઈને ખબર નથી. પરંતુ બીજી લહેરની ભયાનકતા જોઈ હવે સરકારે પણ કમર કસી લીધી છે. રાજ્યમાં વિવિધ હોસ્પિટલોમાં સરકાર દ્વારા ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે સામાજિક સંસ્થાઓ અને કંપનીઓ દ્વારા પણ સરકારની પડખે ઉભા રહી અને મહામારીનો સામનો કરવા માટે ત્રીજી લહેરની તૈયારીઓના ભાગરૂપે વિવિધ હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટનું અનુદાન કરવામાં આવી રહ્યું છે.
અંકલેશ્વરની કોરોમંડલ ઈન્ટરનેશનલ કંપની લિમિટેડ દ્વારા જયાબેન મોદી હોસ્પિટલમાં ઓક્સિજન જનરેશન પ્લાન્ટ ભાજપાના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યો. આ પ્લાન્ટની ક્ષમતા દર મિનિટે 200 લીટર ઓક્સિજન ઉત્પાદન કરવાની છે. જેથી પ્રાણવાયુની અછત અનુભવતા કોરોનાના 15 થી 20 જેટલા દર્દીઓને આ પ્લાન્ટ થકી ઓક્સિજન મળી રહેશે. આ પ્રસંગે કોરોમંડલ ઇન્ટરનેશનલ કંપનીના અંકલેશ્વર યુનિટ હેડ વિનોદ ઝા, બિઝનેસ હેડ એન.કે.રાજાવેલુ, તુષારભાઈ જોશી, અશોક પવાર, કિરણસિંહ, સિંધા, તેજસભાઈ પંચોલી તેમજ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, મંત્રી નિશાંત મોદી સહિત અંકલેશ્વર તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરોએ પણ હાજરી આપી હતી.