અંકલેશ્વર : જે.એન.પીટીટ લાયબ્રેરી ખાતે સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઇ
અંકલેશ્વરની જે.એન.પીટીટ લાયબ્રેરી ખાતે રવિવારના રોજ દેશના 75મા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સામાજીક અને સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલાં ઝેહાન અંકલેશ્વરિયાના હસ્તે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો.
ભારત દેશ આઝાદ થયાંને આજે 75 વર્ષ પુર્ણ થયાં છે. 15મી ઓગષ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો હતો. 75મા સ્વાતંત્ર પર્વની દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરની જે.એન.પીટીટ લાયબ્રેરી ખાતે પણ સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાય હતી. સામાજીક અને સેવાકીય પ્રવૃતિમાં સદાય અગ્રેસર રહેતાં ઝેહાન અંકલેશ્વરિયા ધ્વજવંદન સમારંભના મુખ્ય મહેમાન તરીકે હાજર રહયાં હતાં. તેમના હસ્તે દેશની આન-બાન અને શાન સમાન તિરંગો ફરકાવવામાં આવ્યો હતો.
લાયબ્રેરી ખાતે ઉપસ્થિત નાગરિકોએ રાષ્ટ્રગીતની મધુર સુરાવલી વચ્ચે દેશના સર્વોચ્ચ પ્રતિક સમાન તિરંગાને સલામી આપી હતી. સમારંભના પ્રારંભમાં ટ્રસ્ટી શેરી કાથાવાળાએ મહેમાનોનો પરિચય આપ્યો હતો. આ અવસરે લાયબ્રેરીના પ્રમુખ ડૉ. લત્તાબેન શ્રોફ સહિત ભુપેન્દ્રભાઇ શ્રોફ, ચેતનભાઇ શાહ, દક્ષાબેન શાહ, રાજેશભાઇ, ભદ્રેશભાઇ, યઝદ અંકલેશ્વરિયા અને વિશાલભાઇ સહિના મહેમાનો હાજર રહયાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, જે.એન.પીટીટ લાયબ્રેરી દાયકાઓ જુની લાયબ્રેરી છે અને લોકોમાં શિક્ષણ અને વાંચનનો વ્યાપ વધે તે માટે લાયબ્રેરી તરફથી અવનવા પ્રોજેકટ અમલમાં મુકવામાં આવે છે અને તેમાંય ઝોલા લાયબ્રેરીના પ્રોજેકટને અપ્રિતમ સફળતા મળી છે. આજના સ્વાતંત્રય પર્વના 75મા વર્ષના અવસરે લાયબ્રેરી સંચાલકોએ વાંચનપ્રેમી જનતાને લાયબ્રેરીની એકવાર અવશ્ય મુલાકાત લેવા અનુરોધ કર્યો છે.