અંકલેશ્વર : સિનિયર સિટીઝન બાગમાં વૃક્ષ પર લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો, હત્યા કે આત્મહત્યા અંગે ઘુંટાતું રહસ્ય..!
બાગમાં એક ઝાડ સાથે યુવકે ગળેફાંસો ખાધેલી અવસ્થામાં મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના એક બગીચામાં ઝાડ ઉપર રસી વડે યુવકે ગળેફાંસો ખાધેલી અવસ્થામાં મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેના વાલીવારસોની શોધખોળ આરંભી હતી. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેરના જવાહર બાગ સામે આવેલા સિનિયર સીટીઝન બાગમાં એક ઝાડ સાથે યુવકે ગળેફાંસો ખાધેલી અવસ્થામાં મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતકના વાલીવારસોની શોધખોળ કરતા મૃતકની ઓળખ થઈ હતી.
હાંસોટ તાલુકાના સુણેવખુદ ગામનો રહેવાસી 33 વર્ષીય રાહુલ યશવંત ઉર્ફે કનુ મિસ્ત્રી હોવાની ઓળખ થઈ હતી. આ યુવક ગેરેજ ચલાવતો હોવાની માહિતી પણ સામે આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસે જ્યારે ઘટના સ્થળે તપાસ કરતાં મૃતકના પગ જમીન ઉપર હોવાના કારણે તેની હત્યા થઈ છે કે, આત્મહત્યા છે તે અંગે પણ રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે, ત્યારે હાલ તો પોલીસે પ્રાથમિક તબક્કે આ યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાનું અનુમાન લગાવી આગળની કાર્યવાહી શરૂ કરી છે.