ભરૂચ : પતંગની દોરીએ 30 વર્ષીય મહિલાનો લીધો ભોગ, ભૃગુઋષિ બ્રિજ સર્જાય કરુણાંતિકા..
ભરૂચએક મહિલાને પતંગની દોરી વાગી જતાં ગંભીર ઇજાના પગલે તેનું મોત નીપજયું
ભરૂચના ભોલાવ વિસ્તારના ભૃગુઋષિ બ્રિજ ઉપર પ્રાણઘાતક ઘટના સર્જાય હતી. જેમાં એક મહિલાને પતંગની દોરી વાગી જતાં ગંભીર ઇજાના પગલે તેનું મોત નીપજયું હતું. ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પતંગની દોરી પક્ષીઓની સાથે જ હવે માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકો માટે પણ જીવલેણ સાબિત થઈ રહી છે, ત્યારે ભરૂચ શહેરમાં આવી જ એક ઘટના સામે આવી છે.
ભોલાવ વિસ્તારમાં આવેલ ભૃગુઋષિ બ્રિજ પરથી સાંજના સમયે ઝાડેશ્વર રોડ પર આવેલ અરુણોદય બંગ્લોઝમાં રહેતી 30 વર્ષીય અંકિતા હિરેન મિસ્ત્રી નામની મહિલા ટુ વ્હીલર લઈને પસાર થઈ રહી હતી. તે દરમ્યાન અચાનક તેના ગળાના ભાગે પતંગની ધારદાર દોરી વાગી જતાં તેને ઇજા પહોચી હતી. બનાવના પગલે ઇજાગ્રસ્ત મહિલાને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, ગંભીર ઇજાના પગલે મહિલાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું, ત્યારે હાલ તો સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મહિલાનું મોત થયું હોવાનું ચોપડે નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.