ભરૂચ : ખેડૂતોની સમસ્યાના નિરાકરણ મામલે ભારતીય કિસાન સંઘ દ્વારા વાગરા મામલતદાર કચેરીએ આવેદન પત્ર પાઠવાયું...
કિસાન સંગઠને રાજ્યપાલને સંબોધીને ખેડૂતોના પ્રશ્નોને વાંચા આપવા વાગરા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ખેડૂતોની સમસ્યાઓના કાયમી નિકાલ થાય તે અર્થે તેઓએ ભારતીય કિસાન સંઘના દ્વારા ખટખટાવ્યા છે. કિસાન સંગઠને રાજ્યપાલને સંબોધીને ખેડૂતોના પ્રશ્નોને વાંચા આપવા વાગરા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
વાગરા તાલુકામાં ઉદ્યોગ નગરી તરીકે સુવિખ્યાત બન્યો છે. જેને પગલે તાલુકાને ફાયદો તો થયો છે. પરંતુ તેના ગેરલાભની અસર સ્થાનિકો સાથે ખેતી ઉપર પણ થઈ રહી છે. તો બીજી તરફ સરકાર ખેડૂતોની વિવિધ સમસ્યાઓનો જળમૂળમાંથી નિકાલ કરે એ તરફ ખેડૂતો આશ રાખીને બેઠા છે. અનેક તકલીફોથી ઘેરાયેલા જગતના તાતે ભારતીય કિસાન સંઘના માધ્યમથી રાજ્યપાલને સંબોધી વાગરા નાયબ મામલતદાર પુરવઠાને આવેદન પત્ર પાઠવ્યું હતું.
જોકે, ખેડૂતોએ પાઠવેલ આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, સમાન સિંચાઈ દૂર કરવામાં આવે, વિજળીમાં ફિક્સ ચાર્જ નાબૂદ કરી હોર્સપાવર આધારિત વીજળી આપવામાં આવે, રિસર્વેમાં ખેડૂતોને થતી હેરાનગતિનો નિકાલ ત્વરિત કરવામાં આવે, વાગરા તાલુકામાં કુદરતી અને માનવ સર્જિત આફતથી થયેલ નુકશાની સામે વળતર ચૂકવવા તેમજ વાગરા ખાતે મબલક પ્રમાણમાં ઉત્પાદન થતા અર્ધ શિયાળુ મગનું રજીસ્ટ્રેશન ચાલુ કરી ખરીદી કરવાની આવેદન પત્રમાં માંગ કરવામાં આવી છે. સાથે જ તાલુકામાં આવેલ ઉદ્યોગોના પ્રદુષણને નાથી ખેડૂતોને ઉગારવાની માંગ કરતું આવેદન ભારતીય કિસાન સંઘ દ્ધારા પાઠવવામાં આવ્યું હતું.