ભરૂચ : ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે રાજ્ય મંત્રી પૂર્ણેશ મોદીની અધ્યક્ષતામાં યોજાશે "સંગીત સંધ્યા"
1 મે 2022ના રોજ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે પૂર્ણેશ મોદીની અધ્યક્ષતામાં “સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પંડિત ઓમકારનાથ ઠાકુર ટાઉન હોલ ખાતે આવતીકાલે તા. 1 મે 2022ના રોજ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીની અધ્યક્ષતામાં "સંગીત સંધ્યા"ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી બાદ તા. 1 મે, 1960ના રોજ મુંબઈ રાજ્યના 2 ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યા હતા. જેથી તા. 1 મેને ગુજરાત સરકારે "ગુજરાત ગૌરવ દિવસ" તરીકે ઘોષિત કર્યો છે અને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઊજવણી પણ કરવામાં આવે છે.
સામાન્ય રીતે ગુજરાત સ્થાપના દિવસે વિવિધ વિકાસ અને લોકોપયોગી કાર્યોની શરૂઆત કે, લોકાર્પણ વિધિ કરવામાં આવે છે, ત્યારે આવતીકાલે તા. 1 મે 2022ના રોજ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લા ખાતે માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડૃયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદી વિશેષ ઉપસ્થિત રહેવાના છે. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ પંડિત ઓમકારનાથ ઠાકુર ટાઉન હોલ ખાતે રાજ્યમંત્રી પૂર્ણેશ મોદીના અધ્યક્ષસ્થાને સાંજે 05:30 કલાકે સંગીત સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાની જનતાને ઉપસ્થિત રહેવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.