ભરૂચ : ગાંધીબજારના લોકો ગાંધી ચિંધ્યા માર્ગે, રસ્તા અને ગટરોના મુદ્દે વિરોધ પ્રદર્શન
ભરૂચ શહેરના ગાંધીબજારથી ફાટાતળાવને જોડતો રસ્તો બિસ્માર બની જતાં તથા આ વિસ્તારમાં ખુલ્લી ગટરોમાં વાહનચાલકો તેમજ રાહદારીઓ પડી રહયાં હોવાથી સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું...
ભરૂચમાં બે દિવસ પૂર્વે વરસેલા મુશળધાર વરસાદના કારણે કેટલાય રસ્તાઓનું ધોવાણ થયું છે. ફાટા તળાવથી ગાંધી બજાર સુધીનો સમગ્ર માર્ગ બિસ્માર બની ગયો છે અને ખુલ્લી ગટરોના કારણે ગ્રાહકો બજારમાં ન આવતા હોવાના કારણે ધંધા-રોજગાર ઠપ થઇ ગયાં છે. ભાજપ ભલે વિકાસનો દાવો કરતું હોય પણ ભરૂચ નગરપાલિકામાં ૩૦ વર્ષના ભાજપના શાસન બાદ પણ આજે પણ લોકો નર્કાગાર પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. ફાટા તળાવથી ગાંધી બજાર સુધીનો સમગ્ર માર્ગ છેલ્લા ૩૦ વર્ષ ઉપરાંતથી જેસે થૈની હાલતમાં છે. સ્થાનિક રહીશો અને વેપારીઓની વારંવારની રજુઆત તેમજ આંદોલનો બાદ પણ રસ્તો નવો બનાવવામાં આવતો નથી.
અત્યંત બિસ્માર માર્ગ અને ખુલ્લી ગટરોના પ્રદૂષિત પાણી જાહેર માર્ગો પરથી વહેતા થતા લોકોને ભારે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઇ રહી છે જેના કારણે વેપારીઓ અને રહીશોએ રસ્તા ઉપર ઉતરી આવી પાલિકા તંત્ર સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો. બીજી તરફ ગાંધીબજારની બદતર હાલત હોવાથી ગ્રાહકો પણ આવતાં નહિ હોવાથી વેપારીઓને માથે હાથ દઇ બેસવાનો વારો આવ્યો છે.