આઇ.આઇ.ડીની ભરૂચ શાખાની નવી ટીમનો શપથગ્રહણ સમારંભ યોજાયો, નવા ચેરપર્સન બન્યાં મૈત્રી બુચ
ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડીયન ઇન્ટિયર ડીઝાઇનર્સ ( આઇ.આઇ.આઇ.ડી)ની ભરૂચ શાખાની નવી ટીમનો શપથગ્રહણ સમારંભ હોટલ રંગઇન ખાતે યોજવામાં આવ્યો હતો. ભરૂચના ધારાસભ્ય સહિતના મહેમાનોની હાજરીમાં સંસ્થાના નવા ચેરપર્સન આર્કિટેક મૈત્રી બુચ તથા તેમની ટીમને શપથ લેવડાવવામાં આવ્યાં હતાં.
ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડીયન ઇન્ટિયર ડીઝાઇનર્સ ( આઇ.આઇ.આઇ.ડી)ની સ્થાપના 1972ની સાલમાં કરવામાં આવી હતી. વેપાર અને ડીઝાઇનના ક્ષેત્રમાં નૈતિક પ્રેકટીસ સ્થાપવા તેમજ ક્ષેત્રના સભ્યોમાં પરસ્પર માહિતિ તેમજ જ્ઞાનની આપલે કરી શકાય તે હેતુથી કરવામાં આવી છે. આઇ.આઇ.આઇ.ડી.ના હાલ ભારત દેશમાં 31 પ્રાદેશિક કેન્દ્રો તથા દુબઇમાં એક કેન્દ્ર કાર્યરત છે. સંસ્થાની ભરૂચ શાખાના વર્ષ 2021થી 2023 સુધીના પ્રમુખ તરીકે આર્કિટેક મૈત્રી બુચની વરણી કરવામાં આવી છે.
મૈત્રી બુચ તથા તેમની ટીમનો શપથગ્રહણ સમારંભ ભરૂચની હોટલ રંગઇન ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, આઇ. આઇ. આઇ. ડીના પ્રેસિડેન્ટ ઇલેકટ આર્કિટેક બી.કે.તનુજા ખાસ ઉપસ્થિત રહયાં હતાં. તેમણે કોવીડની મહામારી પછી બદલાયેલી કામ કરવાની શૈલી અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. આ અવસરે પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ઉપ પ્રમુખ નીના યાદવ સહિત સુરેશ યાદવ, સુરેશ વાડીયા, જીજ્ઞેશ મોદી, રાહુલ ડાલ્વી, વિશાલ મશરૂવાલા, બિરજુ દિક્ષિત તેમજ બિલ્ડર્સ અને ઉદ્યોગપતિઓ હાજર રહયાં હતાં. નવા વરાયેલા ચેરપર્સન મૈત્રી બુચે સંસ્થાને નવી ઉંચાઇએ લઇ જવાની નેમ વ્યકત કરી હતી.