Connect Gujarat
Featured

ભાવનગર : 102 વર્ષના વૃદ્ધ મહિલાએ કોરોનાને મ્હાત આપી, જૈફ વયે સારવાર બાદ કોરોનામુક્ત થયા હોય તેવો રાજ્યનો સંભવતઃ પ્રથમ કિસ્સો

ભાવનગર : 102 વર્ષના વૃદ્ધ મહિલાએ કોરોનાને મ્હાત આપી, જૈફ વયે સારવાર બાદ કોરોનામુક્ત થયા હોય તેવો રાજ્યનો સંભવતઃ પ્રથમ કિસ્સો
X

ન ભૂતો ન ભવિષ્યતિ કહી શકાય તેવી જવલ્લે જ બનતી ઘટનામાં ભાવનગરના 102 વર્ષની જૈફ અને વયોવૃદ્ધ ઉંમર ધરાવતા રાણીબેન શ્યામજી કોજાણીએ માત્ર 12 દિવસમાં કોરોનાને મ્હાત આપી કોરોના સામેનો જંગ રાણીની જેમ જીતી લીધો છે.

ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં 12 દિવસની કોરોનાની સારવાર બાદ તેમાંથી સાંગોપાંગ બહાર આવ્યા બાદ રાણીબેનને રજા આપવામાં આવી હતી. તેમનો કોરોના સામેનો આ જંગ એક લડાઈ થી સહેજ પણ કંઇ કમ ન હતો. અને છતાં તેમણે આ જંગ જીતી લીધો છે. જીવન-મરણના તુમુલ સંઘર્ષમાં જીતી રાણીબેન 102 વર્ષે પણ અણનમ રહ્યાં છે. આ 12 દિવસમાંથી રાણીબેન 9 દિવસ તો ઓક્સિજન પર રહ્યા હતા અને છેલ્લા 3 દિવસથી જ તેમને ઓક્સિજન પરથી હટાવવામાં આવ્યા હતા. આમ, માત્ર 12 દિવસના ટૂંકાગાળામાં 102 વર્ષની વયોવૃદ્ધ અને જૈફ વયે રાણીબેને કોરોનાને હરાવી મેડિકલના ઇતિહાસમાં એક નવી મિશાલ કાયમ કરી એક નવું પ્રકરણ આલેખ્યું છે. તેમણે કોરોનાને પરાસ્ત કર્યાની ખુશીમાં ડોક્ટરો તેમજ અન્ય સ્ટાફની તાળીઓના ગડગડાટ વચ્ચે 102 વર્ષીય વયોવૃદ્ધ રાણીબેન ઉપસ્થિત સૌ કોઈના આશ્ચર્ય સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

ભાવનગર શહેરના તળાજા રોડ પર રહેતાં 102 વર્ષીય રાણીબેન કોજાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને ગત તા. 2 એપ્રિલના રોજ ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ સમયે તેમનો ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જતું હતું અને વયોવૃદ્ધ ઉંમરને કારણે પરિવારનું પણ ટેન્શન વધતું જતું હતું. પરંતુ સર તખ્તસિંહજી હોસ્પિટલની મેડિકલ ટીમની સઘન સારવાર, તંત્રની શ્રેષ્ઠ સેવા અને રાણીબેનના મક્કમ અને મજબૂત મનોબળનો ત્રિવેણીથી અશક્ય એવી વાત શક્ય બની છે. ભાવનગરની સર તખ્તસિંહજી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, 102 વર્ષની જૈફ વયે સમગ્ર વિશ્વમાં મહામારીનું રૂપ ધારણ કરી ચૂકેલ કોરોના પર વિજય મેળવવામાં સફળતા હાંસલ કરવી એ ખૂબ મુશ્કેલ ટાસ્ક હતું.

પરંતુ સમગ્ર હોસ્પિટલ સ્ટાફની સંવેદના, સહૃદયતા, સેવા-સુશ્રૂષા અને રાણીબેનની જીવી જવાની જીજીવિષાએ કોરોનાને પરાસ્ત કર્યો છે. કોવિડ-19 પરના અભ્યાસો પરથી સાબિત થઈ ચૂક્યું છે કે, વયોવૃદ્ધ વ્યક્તિઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે આ રોગ વધુ ઉમર ધરાવતાં સંક્રમિત લોકોને વધુ અસર કરે છે અને તેથી જ સમગ્ર વિશ્વમાં આ રોગના કારણે મહત્તમ મૃત્યુ દર દર 70કે તેથી વધુ વર્ષથી ઉંમરના લોકોનો નોંધાયો છે તેવા સમયે 100 વર્ષથી વધુ ઉંમરે કોરોનાને હરાવવો એ ખૂબ જ પડકારજનક અને લાખોમાંથી શક્ય બનતી એકાદ ઘટના છે. પોતાની શ્રેષ્ઠ કાર્યદક્ષતા દ્વારા ઉપરોક્ત તમામ સંભાવનાઓ પર વિજય મેળવીને ભાવનગરની આરોગ્ય ટીમે ઇતિહાસ સર્જી સાબિત કરી દીધું છે કે, સરકારની સ્વાસ્થ્ય સેવાઓ કોરોના સામે લડવા કેટલી સક્ષમ છે.

Next Story