ભાવનગર : સ્થાપનાથના સ્થાનિકો વિકાસથી વંચિત, રાજકારણીઓ માટે ગામમાં “NO ENTRY” જાહેર કરી
એક તરફ રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે, તો બીજી તરફ રાજકીય પક્ષ દ્વારા પોતે કરેલા વિકાસના વખાણો કરવામાં આવી રહ્યા છે, ત્યારે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનું સ્થાપનાથ ગામ આઝાદી સમયથી જ વિકાસથી વંચિત રહ્યું છે. પાણી, રોડ-રસ્તા, ગટરલાઇન જેવી પ્રાથમિક સુવિધા સ્થાપનાથ ગામમાં આજદિન સુધી વિકાસ પામી જ નથી.
ઉપરાંત ગામની એક શાળાને પણ બંધ કરી દેવામાં આવી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, પહેલા સ્થાપનાથ ગામની વસ્તી 200થી 300 હતી. પરંતુ આજદિન સુધી ગામનો વિકાસ ન થતા ધીમે ધીમે લોકો ગામમાંથી શહેર તરફ સ્થળાંતર થવા લાગ્યા છે. ચૂંટણી સમયે નેતાઓ આ ગામની મુલાકાતે દોડી આવે છે. કારણ કે, ગત ચૂંટણીમાં સ્થાપનાથ ગામના મતદારો દ્વારા 92% મતદાન થયું હતું. જોકે આખેઆખું ગામ વિકાસથી વંચિત રહેતા ત્યારે આ વર્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગ્રામજનોએ બહિષ્કાર કર્યો છે, ત્યારે કનેક્ટ ગુજરાત ભાવનગરના પ્રતિનિધિ હિરેન ચૌહાણ દ્વારા ગ્રામજનો સાથે વાતચીત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, જ્યાં સુધી ગામનો વિકાસ ન થાય ત્યાં સુધી રાજકારણીઓને ગામમાં મત માંગવા માટે આવવું નહીં તેમ જણાવી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.