ભાવનગર : શહીદ શક્તિસિંહ ગોહિલનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન, ગાર્ડ ઓફ ઓનર અપાયું
ભાવનગર જિલ્લાના ભંડારિયા ગામના વતની શક્તિસિંહ ગોહિલ જેઓ આસામમાં શહીદ થયા હતા, ત્યારે તેમના પાર્થિવદેહને માદરે વતન ભંડારિયા લવાયો હતો. શહીદ શક્તિસિંહનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે.
ભાવનગર જિલ્લાના ભંડારિયા ગામનાં શક્તિસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ આર્મીમાં ભરતી થયા હતા અને નોકરી પૂર્ણ કરી હતી. તેઓને એક્સટેન્શન અપાતાં આસામ બોર્ડર પર ઓપરેશન એરિયામાં ફરજ પર હતા. તે દરમિયાન હાર્ટ એટેક આવતા વીરગતિને પામ્યા હતાં. આજે પાંચમા દિવસે વીરગતિ પામેલા આર્મી મેન શક્તિસિંહજી ગોહિલનો પાર્થિવદેહ ભંડારિયા લાવવામાં આવ્યો હતો, ત્યારે લોકોએ “ભારત માતા કી જય” અને “શક્તિસિંહ તુમ અમર રહો”ના નારા લગાવ્યા હતા. ભંડારીયા ગામમાં લોકોએ સ્વયંભૂ બંધ રાખી શહીદ શક્તિસિંહ ગોહિલને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી, ત્યારે ઠેર-ઠેર તેમને સન્માન આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં. પુષ્પવર્ષા સાથે શહીદ શક્તિસિંહ ગોહિલના પાર્થિવદેહને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. વીરગતિ પામેલ શહીદ શક્તિસિંહનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે.