ભાવનગર: લખલૂંટ ખર્ચે તૈયાર થયેલ સમુદ્રી પરિવહન સેવા ઘોઘા-દહેજ રોરોફેરીને ફરી શરૂ કરાઇ, મુસાફરોમાં આનંદની લાગ
ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે લખલૂંટ ખર્ચે તૈયાર થયેલ સમુદ્રી પરિવહન સેવા ઘોઘા-દહેજ રો રો ફેરી ડ્રેઝીંગ ન થવાના કારણે છેલ્લા 6 માસથી બંધ હતી, જે હવે ફરીવાર શરૂ કરવામાં આવતા મુસાફરોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.
ભાવનગર જિલ્લાના ઘોઘા નજીક આવેલ ખંભાતની ખાડી તટેથી દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક શહેર દહેજને સમુદ્ર માર્ગે જોડવા માટે કેન્દ્ર સરકારે યોગ્ય કટીબધ્ધતા દાખવી કરોડો રૂપિયાનો ખચૅ કરી ઘોઘા અને દહેજના દરીયા કાંઠે પાણીમાં તરતા પ્લેટફોર્મ બનાવ્યા છે. આ પરિવહન સેવા લોકોમાં પ્રિય પણ બની રહી છે, પરંતુ દહેજ ટર્મિનસ નજીક નમૅદા અને તાપી નદી પણ દરીયાને મળતી હોવાથી દહેજ ટર્મિનસ સ્થિત ચેનલમાં વારંવાર કાંપનો ભરાવો થાય છે. જેથી પરીવહન સેવાનીને તરતી રાખવા માટે પુરતા પ્રમાણમાં પાણીનો ડ્રાફ્ટ મળતો ન હોવાથી છેલ્લા 6 માસથી સેવા સ્થગિત કરવામાં આવી હતી.
ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ બંધ થયાના 6 માસ વિત્યા બાદ જીએમબી દ્વારા ચેનલમાંથી કાંપ દૂર કરાવી પુનઃ ઊંડાઈ બનાવી દેતાં આ પરીવહન સેવા ફરી એકવાર શરૂ કરવામાં આવી છે, ત્યારે ઘોઘા ટર્મિનસથી શીપ દહેજ સુધી દરિયાઈ સફર ખેડવા જવા રવાના થયું હતું. આ શીપમાં લોડેડ ટ્રક તથા અન્ય વાહનો સાથે મુસાફરોની સંખ્યા પણ નોંધપાત્ર રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ સમુદ્રની ભરતી પ્રમાણે શીપ ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે આવનારા દિવસોમાં પણ આ સેવા અવિરતપણે રહે અને તેનો લાભ લોકોને મળતો રહે તેવી મુસાફરોએ આશા વ્યક્ત કરી હતી.