ભાવનગર : મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત 200થી વધુ શિક્ષકોએ યોજી વિશાળ બાઇક રેલી
સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-2021 અંતર્ગત ભાવનગર શિક્ષણ વિભાગ દ્વારા મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ વધે તે હેતુથી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગરના 200થી વધુ શિક્ષકો 100થી વધુ બાઇક સાથે રેલીમાં જોડાયા હતા, ત્યારે “મતદાન સે બને દેશ સશક્ત”, “મતદાન મહાદાન”, “વિકાસ અધુરો મતદાન વિના” સહિતના પ્લે-કાર્ડ સાથે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં રેલી ફરી મતદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રેરક પ્રયાસ કરાયો હતો.
મતદાન જાગૃતિ બાઇક રેલીને અધિક કલેક્ટર ઉમેશ વ્યાસ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી એન.જી.વ્યાસે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીને પ્રસ્થાન કરાવતી વેળાએ અધિક કલેકટરે જણાવ્યું હતું કે, ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 469 જેટલા મતદાન મથકો પર આગામી તા. 21મી ફેબ્રુઆરીએ મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે લોકો ઇ.વી.એમ.ની પ્રણાલીથી વાકેફ થાય, 4 ઉમેદવાર પસંદ કર્યા બાદ રજીસ્ટરનું પીળું બટન દબાવવાનું ન ભૂલે સહિતની બાબતો અંગે લોકોમાં જાગૃતિ આવે તેમજ શહેરના વિવિધ વિસ્તારના નાગરિકો, બહેનો તથા નવા યુવા મતદારોમાં મતદાન પ્રત્યેની જાગૃતિ લાવી વધુમાં વધુ મતદાન થાય તે અંગેનો એક પ્રેરક પ્રયાસ હાથ ધરાયો હતો.
ઉપરાંત મતદાન માટે તમામ શહેરીજનો આગળ આવે અને 100 ટકા મતદાન કરવા અંગેની જાગૃતિ કેળવાય તે હેતુથી શિક્ષકો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષકો દ્વારા આયોજિત બાઇક રેલી ભાવનગર શહેરના જશોનાથ મહાદેવ મંદિરેથી શરૂ થઈ કલેક્ટર કચેરી, સંત કવરામ ચોક, માધવ દર્શન, રબ્બર ફેક્ટરી, ઘોઘા સર્કલ, મહિલા કોલેજ, સુભાષનગર, શિવાજી સર્કલ, રામમંત્ર મંદિર, પાણીની ટાંકી, જવેલ્સ સર્કલ, આર.ટી.ઓ., નિલમબાગ, બહુમાળી ભવન સહિતના વિસ્તારોમાં ફરી જશોનાથ મંદિર ખાતે પરત આવી હતી. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી એન.જી.વ્યાસ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મિતા દુધરેજીયા, એજ્યુકેશન ઇન્સપેક્ટર એમ.આર.પાંડે તથા પી.બી.ગોહિલ, જિલ્લા રમત ગમત અધિકારી અરૂણ ભલાણી તેમજ બહોળી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.