Connect Gujarat
ગુજરાત

વિકાસની વાત જોતું ભુજના શણગાર સમાન હમીરસર તળાવ

વિકાસની વાત જોતું ભુજના શણગાર સમાન હમીરસર તળાવ
X

ભુજના શણગાર સમાન હમીરસર તળાવમાં હાલે અછતના કારણે એક બુંદ પણ પાણી નથી તેવામાં ખાલી પડેલા તળાવમાં ગાંડા બાવળો ઊગી નીકળ્યા છે. જે તે સમયે આ તળાવને કાંકરિયા તરીકે વિકસાવવાનો ભુજવાસીઓને વાયદો કરાયો હતો પરંતુ આ પ્રોજેકટ જ હાલમાં અભેરાઈએ ચડી ગયો છે. તળાવ પર આવેલો ભુજનો રાજાશાહી સમયનો કૃષ્ણાજી પુલના બાંધકામના સળિયા બહાર આવી ગયા છે. હમીરસર તળાવમાં સમસ્યાઓના ભરડા મામલે પાલિકા નક્કર કાર્યવાહી કરવામાં બેદરકારી દાખવી રહી છે

2017ની વિધાનસભા ચૂંટણીમાં ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ ભુજના હમીરસર તળાવને કાંકરિયા જેવું વિકસાવવાની વાત દરેક ચર્ચામાં દોહરાવી હતી. રૂ. 66 કરોડના માતબર રકમના ખર્ચે હમીરસરને વિકસાવવાનો ભુજવાસીઓને વાયદો કરાયો હતો પરંતુ હાલમાં ખાલી પડેલા તળાવમાં સફાઈના પણ ઠેકાણા નથી. જે તે સમયે પાલિકાના વિપક્ષી નેતાએ હમીરસરને કાંકરિયા તળાવ બનાવનારાના કાંકરા ખરી જશે તેવી વાત કહી હતી જે આજે સાચી પડી રહી છે. 66 કરોડના હમીરસર પ્રોજેકટની વિગતો ચલચિત્ર પણ મુકવામાં આવ્યા નથી. હમીરસર પ્રોજેક્ટના નામે પે એન્ડ યુઝ શૌચાલય બનાવાયું જે હાલમાં બંધ છે લેકવ્યુ અને ખેંગારબાગ પાસે 12 નવી દુકાનો બનાવાઈ પણ તેના શટર હજી ખુલ્યા નથી.ભાજપના નગરસેવકો આ દુકાનો પોતાના નામે કરાવવા તલપાપડ થતા હોવાનો આક્ષેપ વિપક્ષીનેતાએ કર્યો છે.અછતના કારણે સૂકા બનેલા હમીરસરની અંદર ઠેરઠેર ગાંડા બાવળો ઊગી નીકળ્યા છે પણ પાલિકા સફાઈ કરતી નથી.તળાવની ફરતે આવેલી લોખંડની ગ્રીલ પડવા પર છે..પાળીઓના ઠેકાણા નથી.હમીરસર પ્રોજેકટના ભાગરૂપે તળાવમાં આરસીસી સળિયા ઉભા કરાયા પણ હવે પ્રોજેકટ પર ચોકડી મારી દેવાઈ છે..તો સળિયાનું શુ કામ છે. શહેરના હૃદય સમાન હમીરસર માં સમસ્યાઓ એ ભરડો લીધો છે પણ ભુજ પાલિકાના શાસકો અને અધિકારીઓ હજી પણ બેજવાબદારીભર્યું વલણ અપનાવી રહ્યા છે

આ બાબતે નગરપાલિકાના કારોબારી ચેરમેન ભરત રાણાએ જણાવ્યું કે, હમીરસર બ્યુટીફીકેશન પ્રોજેકટના એક ભાગનું કામ પૂર્ણ થયું છે.બીજા ભાગમાં તળાવની અંદર સિમેન્ટના પિલર બનાવીને ટેકો ઉભો કરવામાં આવનાર હતો આ માટે સળિયા નખાતા ભુજની સંસ્થાએ કલેકટરમાં અરજી કરી હતી.સંસ્થાએ બ્યુટીફીકેશનના કામને તળાવમાં દબાણ થાય છે.તેવું જણાવી અરજી કરી હતી..હકીકતમાં આ દબાણ નથી પિલર ઉભા કરી સ્લેબ લેવાના છે.આ મામલો હાલ કોર્ટના દ્વારે હોઈ કલેકટરે જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી કામ બંધ રાખવા આદેશ કર્યો છે.પ્રોજેકટ પેટે છ કરોડની ગ્રાન્ટ મંજુર થઈ હતી જે પૈકી ત્રણ કરોડ વપરાયા છે.. તળાવમાં ઊગી નીકળેલા ઝાડી ઝાંખરા અને કચરા બાબતે જણાવ્યું કે, પ્રી મોન્સૂન કામગીરીમાં તળાવને આવરી લેવામાં આવ્યું છે. કામગીરી અંતર્ગત તળાવમાં સફાઈ કરાશે.

ભુજ શહેરનું હૃદય મનાતું હમીરસર તળાવ એ દરેક ભુજવાસીઓની ઓળખ છે. ભુજવાસીઓ પણ ઈચ્છે છે કે, હમીરસર નો વિકાસ થાય અને તળાવ સ્વચ્છ અને સુંદર રહે પણ પાલિકાની લાપરવાહીના કારણે સમયમાં વિલંબ થતો હોય છે.દરરોજ સેંકડો લોકોની અવર જવર વાળા કૃષ્ણજી પુલ મામલે સાશકો માત્ર વાયદાઓ આપે છે.

Next Story