Connect Gujarat
Featured

બિહાર: ચૂંટણી પહેલા ઢંઢેરો જાહેર કરવાની પરંપરા, કોંગ્રેસ અને એલજેપીએ રીલીઝ કર્યો મેનીફેસ્ટો

બિહાર: ચૂંટણી પહેલા ઢંઢેરો જાહેર કરવાની પરંપરા, કોંગ્રેસ અને એલજેપીએ રીલીઝ કર્યો મેનીફેસ્ટો
X

બિહારમાં ચૂંટણીના પડઘા વાગી ગયા છે. રાજકીય પાર્ટીઓ ચૂંટણી આવે ત્યારે ઘોષણા પત્ર જાહેર કરી મતદારોને રીઝવવાના પ્રયાસો કરે છે. હાલના દિવસોમાં બિહારમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ત્યારે કોંગ્રેસ અને લોક જનશક્તિ પાર્ટીએ પોતપોતાના ઢંઢેરા જાહેર કર્યા હતા. કોંગ્રેસે એક તરફ બેરોજગારોને નોકરી ન મળે ત્યાં સુધી 1500 રૂપિયા આપવાની જાહેરાત કરી છે ત્યાં બીજી તરફ ચિરાગ પાસવાને બિહાર માટે બિહાર ફર્સ્ટ બિહારી ફર્સ્ટ અંતર્ગત વિઝન રજૂ કર્યું હતું.

બિહારમાં ચૂંટણીને લઈને મહાગઠબંધનમાં સામેલ કોંગ્રેસ પાર્ટી અને એનડીએથી વિખૂટી પડેલ લોક જનશક્તિ પાર્ટીએ આજે ઘોષણા પત્રો જાહેર કાર્ય હતા. બનેં પક્ષોએ અલગ અલગ પ્રેસ કોન્ફરન્સ યોજી મતદારોને મોહિત કરવા ઘણા વાયદાઓ રજૂ કર્યા છે. કોંગ્રેસે પટનામાં પ્રેસ કોન્ફરન્સ દ્વારા ઢંઢેરો જાહેર કર્યો હતો. આ પ્રસંગે દરમિયાન બિહાર પ્રદેશ કોંગ્રેસ પ્રભારી શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા, રાજ બબ્બર તેમજ અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ ઘોષણા પત્ર જાહેર કરતાં ઢંઢેરાની મુખ્ય વાતો રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું ખેડૂતોની લોન માફી, વીજળી દરમાં અડધો ઘટાડો અને પુત્રીઓને ન્યાય આપવા પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. સાથે બેરોજગારને 1500 રૂપિયા માસિક ભથ્થું આપવા ઉપરાંત કે.જી.થી પી.જી. સુધીની વિદ્યાર્થિનીઓને નિ: શુલ્ક શિક્ષણ, શાળામાં મેથીલી ભાષાનો ફરજિયાત વિષય કરવા, 12 ધોરણમા 90%+ લાવનારી વિદ્યાર્થીઓને સ્કૂટી આપવા, 18 મહિનામાં 2 લાખ, 42 હજાર શિક્ષક પદો ભરવા, તેમજ સૂફી વિકાસ યોજના અને પત્રકાર સુરક્ષા કાનૂન લાવવાની ઘોષણા કરી હતી.

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે આ પ્રસંગે જણાવ્યુ હતું કે, જ્યારે પાર્ટી સત્તામાં આવશે ત્યારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે અને વીજ બિલ પણ માફ કરવામાં આવશે. આ ઉપરાંત ખેડુતોને પાકનો યોગ્ય ભાવ મળે તે માટે કામ કરશે. તેમણે કહ્યું કે કેન્દ્રના કૃષિ કાયદાને પંજાબની તર્જ પર નકારી કાઢવામાં આવશે.

આ દરમિયાન કોંગ્રેસ નેતા રાજ બબ્બરે કહ્યું કે, જો કોંગ્રેસ સત્તામાં આવશે તો બેરોજગારોને નોકરી નહીં મળે ત્યાં સુધી દર મહિને 1500 રૂપિયા ભથ્થું આપશે. તેમણે કહ્યું કે નવી સરકારની પહેલી કેબિનેટ બેઠકમાં 10 લાખ નોકરીઓ આપવાનો નિર્ણય લેવામાં આવશે.

બીજી તરફ એનડીએ ગઠબંધનમાંથી અળગા થયેલા અને પરોક્ષ રીતે ભાજપ સાથે જોડાયેલા ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપીએ પણ ઢંઢેરો જાહેર કર્યો હતો. પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાને બિહાર ફર્સ્ટ, બિહારી ફર્સ્ટના સૂત્ર સાથે બિહારના વિકાસનું વિઝન રજૂ કર્યું હતું. જેમાં શિક્ષા, રોજગાર અને બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવાની ઘોષણા કરી હતી.

Next Story