Connect Gujarat
Featured

ગુજરાત વિધાનસભામાં સિંહોના વધતાં મોતના આંકડા મામલે ભાજપ-કોંગ્રેસ આવી સામસામે, કોણ સાચું..?

ગુજરાત વિધાનસભામાં સિંહોના વધતાં મોતના આંકડા મામલે ભાજપ-કોંગ્રેસ આવી સામસામે, કોણ સાચું..?
X

ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં સિંહોની વસ્તી વધી હોવાના સરકારી દાવા વચ્ચે છેલ્લા 2 વર્ષમાં 313 જેટલા સિંહોના મોત થયા હોવાનો ચોંકાવનારો આંકડો પણ સામે આવ્યો છે, ત્યારે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરે વન વિભાગ ઉપર ગંભીર આરોપ લગાવી સમગ્ર મામલે સરકાર દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તેવી રજૂઆત પણ કરી હતી.

રાજ્ય સરકારે વિધાનસભામાં કરેલા સ્વીકાર પ્રમાણે, રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 313 જેટલા સિંહ, સિંહણ અને સિંહ બાળના મોત થયા છે. જેમાં વર્ષ 2019માં 35 સિંહ, 48 સિંહણ અને 71 સિંહબાળના મોત થયા છે. તો વર્ષ 2020માં 36 સિંહ, 42 સિંહણ અને 81 સિંહબાળના મોત થયા છે. જોકે 313 જેટલા સિંહોના મોતમાંથી કુદરતી રીતે 290 સિંહ, સિંહણ અને સિંહબાળના મૃત્યુ નોંધાયા છે. તો સાથે જ અકુદરતી મૃત્યુના 23 કિસ્સા નોંધાયા છે. જે ચિંતાનો વિષય છે. અકુદરતી મોત માટે અનેક કારણો જવાબદાર રહ્યા છે. જે અંગે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરે વન વિભાગ ઉપર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે દાવો કર્યો છે કે, ગીરમાં વસતા માલધારીઓ હવે પલાયન કરી રહ્યા છે. જેના કારણે સિંહોના કુદરતી ખોરાકમાં પણ ઘટાડો થયો છે. તો બીજી તરફ વન વિભાગ આ સિંહોને ખોરાકમાં મરેલા પશુઓ આપતા હોવાના કારણે સિંહોના મોતમાં વધારો થયાનો વિરજી ઠુમરે આક્ષેપ લગાવ્યો હતો. વિરજી ઠુમરે કહ્યું હતું કે, એશિયાટિક સિંહો ગુજરાતનું ગૌરવ છે, ત્યારે આ અંગે સરકારે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. જોકે કોંગ્રેસી ધારાસભ્યના આ આક્ષેપને વનમંત્રી ગણપતસિંહ વસાવાએ ફગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, સરકારે સિંહોના સંરક્ષણ માટે અનેક પગલાં ભર્યા છે. જેના કારણે સિંહોની વસ્તીમાં વધારો થયો છે. ગુજરાત સરકારના ગંભીર પ્રયાસોના કારણે સિંહોની ઘણી વસ્તી વધી છે.

Next Story