ભરૂચ: સાંસદ મોહન ડેલકરના આપઘાત મામલે ધારાસભ્ય છોટુ વસાવાના કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપ, જુઓ શું કહ્યું
દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરના આપઘાતના મામલામાં ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવાએ ગંભીર આક્ષેપ કર્યા છે. તેઓએ જણાવ્યુ હતું કે કેન્દ્ર સરકારના દબાણમાં મોહન ડેલકરે આપઘાત કર્યો છે.
દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરે મુંબઈના પોશ વિસ્તારમાં આવેલ હોટલમાં આપઘાત કરી લીધો હતો. તેમની પાસેથી ગુજરાતી ભાષામાં લખેલી છ પાનની અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં દાદરા અને નગરહવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા કરવામાં આવતી હેરાનગતિનો ઉલ્લેખ કરાયો હતો. પ્રફુલ્લ પટેલ તથા વહીવટીતંત્ર તરફથી કરાતી ઉપેક્ષાથી કંટાળી મોહન ડેલકરે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ હતો. ત્યારે મુંબઈ પોલીસે આ મામલે પ્રફુલ્લ પટેલ સામે ગુનો પણ નોધ્યો છે ત્યારે હવે ઝઘડિયાના ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસાવાએ મોહન ડેલકરના આપઘાત મામલે કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેઓએ જણાવ્યુ હતું કે કેન્દ્ર સરકારના દબાણના કારણે મોહન ડેલકરે આપઘાત કર્યો છે અને પ્રશાશક પ્રફુલ્લ પટેલે મોહન ડેલકરને માનસિક રીતે તોડવાનું કામ કર્યું છે અને આ મામલાની તપાસ ગૃહ મંત્રાલય સામે થવી જોઈએ.