Connect Gujarat
સમાચાર

ભરૂચ : પાણીનો “દુકાળ” બનશે “ભૂતકાળ” : મુખ્યમંત્રી વિજય રૂપાણી

ભરૂચ : પાણીનો “દુકાળ” બનશે “ભૂતકાળ” : મુખ્યમંત્રી વિજય રૂપાણી
X

ભરૂચ જીલ્લામાં 4 જેટલી પાણી પુરવઠા યોજનાનું ખાતમુહુર્ત શનિવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં રૂપિયા 387 કરોડના ખર્ચે નિર્માણ પામનાર યોજનાઓ થકી આગામી સમયમાં ભરૂચ જીલ્લાની 3.45 લાખ જેટલી વસ્તીને પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે.

નર્મદા નદીના કિનારે આવેલ ભરૂચ જીલ્લાના અનેક ગામના લોકો પીવાના શુદ્ધ પાણીથી વંચિત છે. દરિયાનું ખારું પાણી અનેક વિસ્તારમાં ફેલાઈ જતા ભૂગર્ભ જળ ક્ષાર યુક્ત બન્યા છે અને પરિણામે લોકોને પીવાનું શુદ્ધ પાણી નથી મળી શક્યું, ત્યારે રાજ્ય સરકારની “નલ સે જલ” યોજના અંતર્ગત ભરૂચ જીલ્લામાં રૂપિયા 387 કરોડના ખર્ચે પાણી પુરવઠાની 4 જેટલી યોજનાઓ નિર્માણ પામશે. જેમાં નેત્રંગ-વાલિયા જૂથ યોજના, મધ્ય બારા જૂથ પાણી યોજના, ઝાડેશ્વર જૂથ પાણી યોજના તથા રૂંઢ-રાજપારડી જૂથ યોજનાનો સમાવેશ થાય છે, ત્યારે શનિવારના રોજ ભરૂચ જિલ્લાના વાલિયા સ્થિત સીતારામ નર્સિંગ કોલેજના પટાંગણમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે “નલ સે જલ” યોજનાનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લામાં “નલ સે જલ” યોજના થકી નેત્રંગ અને વાલિયાના 135 ગામો અને 2 શહેરોની 2 લાખ જેટલી વસ્તીને લાભ મળશે. તો સાથે જ મધ્ય બારા જૂથ યોજના અંતર્ગત ભરૂચ, વાગરા અને આમોદ તાલુકાના 19 ગામોની 39 હજાર જેટલી વસ્તીને લાભ મળશે. ઝાડેશ્વર જૂથ પાણી યોજના અંતર્ગત ભરૂચ તાલુકાના 4 ગામોની 92 હજાર વસ્તી તથા રૂંઢ-રાજપારડી જૂથ યોજના અંતર્ગત ઝઘડીયા તાલુકાની 7 હજાર જેટલી વસ્તીને લાભ મળશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલમાં 80% લોકોને “નલ સે જલ” યોજના અંતર્ગત ઘેર ઘેર પાણી મળી રહ્યું છે, ત્યારે હવે આગામી ટૂંક સમયમાં જ 100% લોકોને પાણી મળતું થઈ જશે. રાજ્યમાં આવનાર દિવસોમાં પાણીનો દુકાળ એ ભૂતકાળ બની જશે. જે માટે રાજ્ય સરકાર નો સોર્સના બદલે પાણીનો પરમેનન્ટ સોર્સ ઉભો કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તો સાથે જ ભાડભૂત બેરેજ યોજનાથી ભૂગર્ભ જળ ખારું થતું અટકશે તથા દહેજ ખાતે ડી સેનિટેશન પ્લાન્ટ થકી દરિયાનું પાણી મીઠું કરવામાં આવશે. જેથી જીલ્લાના પાણીના પ્રશ્નનો મહદ અંશે અંત આવશે.

રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકશાન અંગે પણ મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરી જણાવ્યું હતુ કે, ખેતીમાં થયેલ નુકશાનીનો વહેલી તકે સર્વે કરી ખેડૂતોને વળતર ચુકવવામાં આવશે. તો સાથે જ દિલ્લીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે પણ ટીપ્પણી કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોની આડમાં કેટલાક લોકો પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યા છે.

આ પ્રસંગે રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા, સહકાર મંત્રી ઈશ્વર પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસવા, સહકાર મંત્રી ઈશ્વર પટેલ, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયા, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, સહકારી આગેવાન ઘનશ્યામ પટેલ સહિતના આગેવાનો અને આમંત્રિતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story