ગાંધીનગર : મુખ્યમંત્રી કિસાન યોજનાની જાહેરાત, ખેડૂતો માટે “મબલખ” જાહેરાતો
રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતો માટે કિસાન સહાય યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ દરેક ખેડુતોને યોજનાઓનો લાભ મળશે.
નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલ અને કૃષિ મંત્રી આર સી ફળદુની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કિસાન સહાય યોજનાની જાહેરાત કરી છે. યોજનાની જાહેરાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ખેતીમાં ખાસ કરીને ખરીફ ઋતુમાં વરસાદની અનિયમિતતા ખેડુતોને આર્થિક નુકશાન કરનાર પરિબળ છે.
કુદરતી આપત્તિના સમયે ખેડુતોને રાહત મળી રહે તે માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં રાજયના તમામ ખેડુતોને આવરી લેવામાં આવ્યાં છે. યોજનાનો લાભ રાજ્ય ના નાના મોટા સીમાંત બધાજ ખેડૂતોને મળવાપાત્ર છે. એટલું જ નહિ આ યોજના માટે ખેડૂતે કોઈ જ પ્રીમિયમ ભરવાનું રહેશે નહિ તેમ પણ તેમણે જણાવ્યું હતું. કિસાન સહાય યોજનામાં દુષ્કાળ, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ સહીતના કુદરતી પરિબળોને આવરી લેવાયાં છે.