ગાંધીનગર : ભાજપના ત્રણ ઉમેદવારોની રણનિતિ સામે કોંગ્રેસના બે ઉમેદવારોએ ભર્યા ફોર્મ
182 વિધાનસભાની બેઠકો ધરાવતાં ગુજરાતમાં રાજયસભાની ચાર બેઠકો ખાલી પડી રહી છે જેના માટે 26મી માર્ચના રોજ ચુંટણી યોજવાની છે. શુક્રવારના રોજ ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ હતો. વિધાનસભામાં સભ્યોની સંખ્યા જોતાં ભાજપ અને કોંગ્રેસ બંનેને બે- બે બેઠક મળી શકે તેમ છે. કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત કરતાંની સાથે કોંગ્રેસમાં બળવાના એંધાણ વર્તાઇ રહયાં છે. કોંગ્રેસની વર્તમાન સ્થિતિને જોઇ ભાજપે છેલ્લી ઘડીએ ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને મેદાનમાં ઉતાર્યા છે. ત્રીજા ઉમેદવારને વિજયી બનાવવો હોય તો ભાજપને પાંચથી વધારે ધારાસભ્યોની જરૂર પડી શકે છે.
ભાજપની નજર બીટીપીના બે અને એનસીપીના એક ધારાસભ્ય તથા કોંગ્રેસમાંથી સંભવિત બળવો કરનારા ધારાસભ્યો ઉપર છે. ભાજપની ત્રણ ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની રણનિતિ સામે કોંગ્રેસે બે ઉમેદવારો પાસે ઉમેદવારીપત્રો ભરાવ્યાં છે. કોંગ્રેસ તરફથી શકિતસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારીપત્ર ભરતી વેળા તેમની સાથે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના ટોચના નેતાઓ હાજર રહયાં હતાં.