Connect Gujarat
Featured

કચ્છ : સૌપ્રથમ માંડવીના બે મિત્રોએ કર્યો હતો જગવિખ્યાત દાબેલીનો આવિષ્કાર, જાણો શું છે દાબેલીનો ઇતિહાસ..!

કચ્છ : સૌપ્રથમ માંડવીના બે મિત્રોએ કર્યો હતો જગવિખ્યાત દાબેલીનો આવિષ્કાર, જાણો શું છે દાબેલીનો ઇતિહાસ..!
X

આપણે સૌ હોંશભેર બર્ગર, સેન્ડવિચ અને પીઝા સહિતના વ્યંજન મલ્ટીનેશનલ ફૂડ ચેઇનના મોંઘા સ્ટોરમાં આરોગતા હોય છે, પરંતુ આ વાનગીઓની મૂળમાં છુપાયેલી છે દાબેલી… જીહા, સરહદી ક્ચ્છ જિલ્લાના માંડવી નગરમાં સૌ પ્રથમ દાબેલીની શોધ થઈ હતી દાબેલી ન માત્ર ક્ચ્છ પરંતુ ગુજરાત અને દેશ વિદેશમાં જાણીતી છે. તેમાંથી આવિષ્કાર થયા બાદ વડાપાઉં, બર્ગર સહિતની વસ્તુઓ અસ્તિત્વમાં આવી છે, ત્યારે આપણે જાણીએ દાબેલીના ઇતિહાસ વિષે.

આઝાદી બાદ ભારત પાકિસ્તાનના ભાગલા વખતે એક સિંધી પરિવાર કચ્છના માંડવી બંદરે આવી પોતાના પરિવાર સાથે વસવાટ કર્યો હતો. જેમાં જીવનનિર્વાહ ચાલાવવા માટે માંડવીના સાંજીપડી વિસ્તારમાં બેકરીની શરૂઆત કરી હતી. રૂપન ભાટીયા નામના વ્યક્તિ આમ તો રમૂજી અને ખાવાપીવાના શોખીન હતા તેમના મિત્રો તેમને રૂપન શેઠના નામે સંબોધતા હતા, તે અરસામાં માંડવીમાં મોહન બાવાજીનું મસાલાવાળા બટાકાનું શાક ખૂબ જ પ્રખ્યાત હતું. રૂપન શેઠ અને મોહન બાવાજી એક સારા મિત્ર પણ છે, ત્યારે જે તે સમયે બાવાજીએ જણાવ્યુ હતું કે, રૂપન હમણાં તો ધંધામાં કોઈ મજા જેવી વસ્તુ રહી નથી. હવે કંઈક નવી વાનગી બનાવી વેચાણ કરૂ તેવું વિચારું છું. તારા મગજમાં કોઈ નવીન વાનગી સુજેતો મને કહેજે. તો કંઈક નવું વિચારશું…

આમ કહી મોહન બાવાજી ત્યાંથી જતા રહ્યા હતા. ત્યારબાદ બેકરી પર વધુ કામ હોવાના કારણે રૂપન શેઠ જમવા માટે ઘરે ન પહોંચી શક્યા. જેથી મિત્ર મોહન બાવાજીના બટાકા મંગાવી પોતાની બેકરીમાં બનાવેલા પાવને કાપી અને વચ્ચે બટાકા ભરીને પાવ સાથે ખાતા હતા, ત્યારે બહુ જ સ્વાદિષ્ટ સ્વાદ આવતા તરત જ રૂપન શેઠના મનમાં મોહન બાવાજીની નવીન વાનગીવાળી વાત યાદ આવી. તેઓએ તરત જ બેકરીમાં કામ કરતા અન્ય વ્યક્તિને કહ્યું કે, મોહન બાવાજીને સમાચાર આપ રૂપન શેઠ યાદ કરે છે અને બેકરી આવી તમે મળી જજો એમ કહી આવ, ત્યારે મોહન બાવાજી બેકરી પર આવતા શેઠે તેમને બટાટા સાથે પાઉં ખવડાવતા મોહન બાવાજીને નવા સ્વાદની અનુભુતી થઈ હતી. તે દરમ્યના મોહન બાવાજી હર્ષ સાથે આશ્ચર્ય પામ્યા હતા, ત્યારે બન્ને મિત્રોએ એવું નક્કી કર્યું કે , બેકરીના પાઉં અને બટાકાનું શાક સાથે વેચીએ તો, લોકો આ વાનગીને સારો પ્રતિસાદ આપશે. જોકે આ વાનગીને બન્ને મિત્રો દ્વારા દાબેલી નામ આપવામાં આવ્યું હતું. જેથી દાબેલીની શોધ ત્યારથી જ માંડવી નગરમાંથી થઈ છે.

આજે પણ રૂપન શેઠ ભાટીયાના મોટા દીકરા દિલીપના દિકરા વિજય નલિયામાં બેકરીનો વ્યવસાય કરી રહ્યા છે. આમ રૂપન શેઠની હાલ ત્રીજી પેઢી બેકરીના વ્યવસાય સાથે જોડાયને નામના પણ મેળવી છે. આજે માંડવીની દાબેલી જગવિખ્યાત બની છે, ત્યારે બંદરીય નગરી માંડવીની મુલાકાત લઇએ તો ગલીએ-ગલીએ દાબેલીની લારીઓ જોવા મળે છે . સમય અનુસાર દાબેલીનો મસાલા, દાબેલીની સિંગ, જમ્બો દાબેલી, ચીઝ દાબેલી, કડક દાણા વગરની દાબેલી જેવી વિવિધ દાબેલીઓનું વેચાણ પણ થઈ રહ્યું છે. અહીં ફરવા આવતા લોકો અચુક કચ્છી દાબેલીનો સ્વાદ ચોક્કસ માણે છે. ન માત્ર માંડવી પરંતુ ભુજ, અંજાર, ભચાઉ, ગાંધીધામ, મુન્દ્રા, નખત્રાણા, અબડાસા અને લખપત સહિત સમગ્ર જિલ્લામાં દાબેલીની બોલબાલા છે. રોજની કરોડો રૂપિયાની દાબેલી કચ્છીઓ આરોગે છે. જેમાં બે મત નથી. જ્યાં જુઓ ત્યાં દાબેલી દુકાન જોવા મળે છે. દાબેલીને કચ્છમાં લોકો રોટીના નામે પણ ઓળખે છે. “ભાં રોટી ખેણી આય, તો બનાઈ દિયા” આ શબ્દો તમને કચ્છના દરેક બજારોમાં સાંભળવા મળશે…

આમ, રૂપન શેઠ ભાટીયા અને મોહન બાવાજી બન્ને મિત્રોની જોડીએ દાબેલીનો આવિષ્કાર કર્યો છે. આ દાબેલી મિત્રતાનું પ્રતીક એટલા માટે કહેવામા આવે છે કે, એક મિત્રની બનાવટ પાઉં છે, તો જ્યારે બીજા મિત્રની બનાવટ બટાકાનું ચટાકેદાર શાક છે. આ બન્નેના સમન્વયે દાબેલીનું ઉદ્દભવન સ્થાન છે. માત્ર 10 પૈસાથી શરૂ કરેલો દાબેલીનો વેપાર આજે 10 રૂપિયાએ પહોચી હતો છે. જોકે જે વ્યક્તિએ દાબેલીની શોધ કરી હતી. તે વ્યવસાય પર આજે હજારો લોકો રોજગારી મેળવી કરોડો રૂપિયાનો વ્યવસાય કરી રહ્યા છે.

Next Story