દહેજ ઔદ્યોગિક કામદાર સંઘનાં જીએફએલ કંપની સામે પ્રતિક ઉપવાસ
કામદારોની માંગણીઓ સંદર્ભે ન્યાય નહીં મળે ત્યાં સુધી પ્રતિક ઉપવાસ પર બેસવાની કરી જાહેરાત
દહેજ ઓદ્યોગિક વિસ્તારમાં સ્થાનિકો બેરોજગારીનો મુદ્દો છેલ્લા કેટલાયે વર્ષોથી વણ ઉકેલ્યો રહ્યો છે. બીજી તરફ કંપનીઓમાં નોકરી કરતા સ્થાનિક કામદારોને યેનકેન પ્રકારે રંજાડવાના પણ દાખલા પ્રકાશમાં આવ્યા છે. આવુ જ કંઈક જી.એફ.એલ. કંપનીમાં બન્યુ છે. જેને લઈને દહેજ ઔદ્યોગિક કામદાર સંઘનાં સભ્યોએ આજથી જીએફએલ કંપની સામે પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે.
મહિનાઓ અગાઉ જી.એફ.એલ કંપનીના સંચાલકોએ 4 સ્થાનિક નોકરિયાતની સેંકડો કિલોમીટર દૂર અન્ય જગ્યાએ બદલી કરતા જે તે સમયે મામલો ગરમાયો હતો. પરંતુ કંપની સત્તાધીશોએ બાંહેધરી આપતા મામલો શાંત પડયો હતો. તેમ છતાં કોઈજ ઉકેલ ના આવતા દહેજ ઉદ્યોગિક કામદાર સંઘના નેજા હેઠળ આજરોજ સવારે 8:00 વાગ્યા થી આસપાસના ગામના લોકો જી.એફ.એલ કંપનીના ગેટ સામે ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતીક ઉપવાસ પર બેસી ગયા હતા.
આ અંગે કામદાર સંઘના પ્રમુખ એન.સી.પરમારે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યુ હતુ કે કામદારોની માંગણીઓ સંદર્ભે ન્યાય નહીં મળે ત્યાં સુધી પ્રતીક ઉપવાસ પર બેસીશું. કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો.