દાહોદઃ દેવગઢ બારિયા ખાતે 15મો ગ્રામિણ ઓલિમ્પિક 2018 યોજાયો
કેન્દ્રિય આદિજાતિ બાબતોનાં રાજ્યમંત્રી જસવંતસિંહ ભાભરની ઉપસ્થિતિમાં થઈ શરૂઆત
ગુજરાત સરકારના રમતગમત, યુવા સાંસસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા બે દિવસીય 15 મો ગ્રામિણ ઓલિમ્પિક – 2018 દેવગઢબારીયા ખાતે યોજાયો હતો. જેમાં કેન્દ્રીય આદિજાતિ બાબતોના રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના અધ્યક્ષસ્થાને દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના સ્વ. જયદિપસિંહજી રમતગમત સંકુલ ખાતે આ ઓલિમ્પિક યોજાયો હતો.
કેન્દ્રીય આદિજાતિ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરે આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્યના તત્કાલિન મુખ્ય મંત્રી અને હાલમાં દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેવાડાના વિસ્તારોમાં વસતા આદિવાસી સમુદાયમાં રહેલી શક્તિઓને બહાર લાવવા માટે અને ગ્રામિણ ક્ષેત્રોમાં રમાતી ગેડી દડો, રસ્સા ખેંચ, ગોફણ ફેંક, ગીલ્લોલ, તિરંદાજી, કબડ્ડી, માટલા દોડ, ખો-ખો, દોડ, કુદ જેવી ભુલાતી જતી પ્રચલિત, પરંપરાગત અને દેશી રમતોને મેદાન પર લાવવા માટે 2004 થી દશેરાના મેળામાં પ્રથમ ગ્રામિણ ઓલિમ્પિકનું આયોજન કર્યુ હતું. આજે “રમશે ગુજરાત” “ખેલે ઇન્ડીયા” દ્વારા ખેલાડીઓને મેદાન પર લાવવા માટે પ્રયાસો કર્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા દેવગઢ બારિયા ખાતે સ્પોર્ટસ કોમ્પલેક્ષને વિકસાવવામાં આવ્યુ છે. જે દેશમાં પ્રથમ કક્ષાના સ્પોર્ટસ કોમ્પલેક્ષ તરીકે પ્રખ્યાત છે. ખેલાડીઓને તમામ સુવિધા ઉપલબ્ધ થાય તે માટેના અધતન સુવિધાયુકત ભવનોનું અંદાજીત રૂપિયા 20 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં કન્યા ખેલાડીઓ માટેની ગર્લ્સ હોસ્ટેલનું પણ આગામી ટુંકા ગાળામાં લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. તેમ જણાવતા આ રમત-ગમત સંકુલ પરથી ૬૭ જેટલા ખેલાડીઓએ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ રમતોમાં વિજય મેળવી દેશનું નામ રોશન કર્યુ છે.
તાજેતરમાં ડાંગની આદિવાસી પરીવારની દિકરી સરીતા ગાયકવાડે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલો મેળવી દેશનું નામ રોશન કર્યું છે. આ સંકુલ પરથી આ વિસ્તારના ઘણા રમતવીરોએ જુદી જુદી રમતોમાં વિજય મેળવી દેવગઢબારીયા સ્પોર્ટસ સંકુલનું નામ રોશન કર્યુ છે. તેમ ભૂતપૂર્વ વિજેતા ખેલાડીઓને મંત્રી ભાભોરે યાદ કરી રાજ્યનું અને દેવગઢબારીયાનું ગૌરવ વધાર્યુ છે તેમ જણાવતા કેન્દ્ર સરકાર દ્વારા રમતગમત માટે ૨૧૯૬ કરોડની માતબર જોગવાઇ કરી છે. તેનો આ તબક્કે ઉલ્લેખ કર્યો હતો.
આ પ્રસંગે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના સચિવ ડી.ડી.કાપડીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ગ્રામિણ રમતોને ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જે તે ક્ષેત્રમાં રમાતી રમતોને ઉજાગર કરવા માટે આ ગ્રામિણ ઓલિમ્પિકનું આયોજન કર્યુ હતુ. જેમાં તરણેતરના મેળામાં, ડાંગ દરબાર, દશેરાના મેળામાં આવી ગ્રામિણ રમતોને મેદાન પર લાવી ખેલાડીઓની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવામાં આવી. આજે ભરૂચ ના વાડી અને વાલીયા વિસ્તારમાં બેસતા વર્ષે ૭૫૦૦૦ ખેલાડીઓએ રમતોમાં ભાગ લીધો હતો. તેમ જણાવતાં સ્પોર્ટસ ઓથોરીટી દ્વારા ખેલાડીઓ માટે પ્રોત્સાહન જનક યોજનાઓની જાણકારી આપી હતી.