Connect Gujarat
બ્લોગ

વોલ્ડન : સદૈવ આનંદમાં રહેવું એ જ શિવસ્વરુપ છે

વોલ્ડન : સદૈવ આનંદમાં રહેવું એ જ શિવસ્વરુપ છે
X

શ્રાવણ માસમાં આહાર ત્યાગવો, ફળાહાર જ કરવો, શિવમંદિર જવું, સામાન્ય રીતે શિવમંદિર ગામથી દૂર હોય અને એ બહાને પ્રકૃતિ પાસે જવાનો માનવસર્જિત અનેરો પ્રયાસ. કુદરત પાસે જવાનો એક ફાયદો તો છે જ કે તત્પૂરતા દુઃખ દૂર કરીને મનમાં થોડો થોડો આનંદ ભરી શકે.

કોઈ પણ ઉંમરે પ્રેમમાં પડો તો ખૂલ્લા વાતાવરણમાં રખડવાથી નીજાનંદ મળે, પણ નિષ્ફળ પ્રેમી પણ કરેલી મુર્ખામીને યાદ કરીને ચહેરે સ્મિત લાવે છે...એક જમાનો હતો કે જ્યારે ડોક્ટર હમેશા દર્દીને કહેતાં કે હવાફેરની જરૂર છે...આજકાલ ડોક્ટર આ સલાહ આપતા નથી, હશે...કદાચ હવાફેર કરતાં દવાઓ વધુ અક્સીર હશે. વાતાવરણ બદલવાથી જૂના વિચારોમાંથી કામચલાઉ મુક્તિ મળે અને થોડો સમય માટે પણ નવા વિચારો મળે, આપણે આ જ્ઞાનની કદાચ જરૂર નથી પણ ગાંધીને સવિનય સત્યાગ્રહ શીખવનાર હેનરી ડેવિડ થોરોને હવાફેર અને કુદરત સ્પર્શી ગયાં હતાં.

હેનરી ડેવિડ થોરો મૂળ અમેરિકન પણ ભારતીય સાહિત્યનો અભ્યાસુ. ફિલોસોફર થોરો વર્ષ 1845માં ઇંગ્લેન્ડમાં એકાંતવાસ ગાળવા વોલ્ડન સરોવર પર ગયો અને ટૂંકા ગાળા માટે નિવાસ કરવો હતો. થોરો એટલું જ જાણવા માંગતો હતો કે જ્યારે મરી જઇએ ત્યારે મૃત્યુનું જ્ઞાન હોવું તો જરૂરી છે પણ જિંદગી જીવ્યાની ભવ્ય પળો પણ સાથે હોવી જોઈએ. ઘરમાં લેપટોપ પર ફિલ્મ જોતી વેળાએ કોઇ બોલાવે તો ફિલ્મ રોકી દઇએ, લાઇફને ય કોઈ પોકારતું હોય તો પોઝ કરવી જરૂરી છે. બસ, લાઇફને પોઝ કરવા માટે થોરો જંગલમાં સામાન્ય જરૂરિયાત સાથે નીકળી ગયો અને જાતે જ વોલ્ડન સરોવર પર નાની ઝૂંપડી બનાવી અને બે વર્ષ, બે મહિના અને બે દિવસ નિવાસ કર્યું. થોડી ચોપડીઓ, થોડી જરૂરિયાત અને નોટબુક.... શરૂ થઇ અનેરી યાત્રા. કોઈના બનાવેલા તિર્થ પર તો ટોળે ટોળા જાય પણ આ તો પોતે જ બનાવેલું તીર્થ..... પોતાની મસ્તી, પોતાની દુનિયા અને પોતાના જ તિર્થમાં રોજ થતી કુદરતની ચહલપહલ નિસ્પૃહભાવે જોવાની... બસ કુદરતનો ખેલ જોવાનો....દરેક સિઝનમાં બદલાતા કુદરતના રંગોને સ્થિતપ્રજ્ઞ થઈને જોવાના...જંગલમાં ભટકવાનું. મુલાકાતીઓ માટે ત્રણ ખુરશી....મોટે ભાગે દિવસમાં રખડવાનું, મુલાકાતી કાર્ડ મૂકીને રાહ જોઇને જતાં રહે...

આ દરમિયાન કુદરતની મોજ અને વૈવિધ્યતાને આડત્રીસ નોટ ભરીને લખી. વોલ્ડન પરથી પરત આવ્યા બાદ દશ વર્ષ પછી થોરોની લખેલી નોટ્સને પુસ્તક સ્વરૂપ આપવામાં આવ્યું, થોરોની ભાષામાં કહીએ તો એ વોલ્ડન કરતાં ગંગાકિનારો વધુ લાગતી હતી. વોલ્ડન નામથી પુસ્તક પ્રકાશિત થયા બાદ દુનિયાની મોટાભાગની ભાષામાં ટ્રાન્સલેટ થયું છે. આમ તો અઢાર પ્રકરણમાં લખાયેલું આ પુસ્તક ભગવદ્દ ગીતાની જેમ જિંદગીના પાઠ શીખવે છે. ભગવદ્દ ગીતા હોય કે વોલ્ડન, લોકપ્રિય એટલા માટે છે કે આ પુસ્તકો અનુભવમાંથી લખાયા છે. કોઈ આસમાની સ્ટોરી નથી પણ મારા તમારા જીવનમાં બનતી ઘટનાઓ અને માર્ગદર્શક બનવા સાથે આજીવન જોડાયેલા રહે છે. થોરોના આ અઢાર પ્રકરણના પુસ્તકમાં અર્થતંત્રથી માંડીને ભારતીય ચિંતનની સમીક્ષા કુદરત પાસે એકાંતમાં બેસીને કરી છે. કલાકો સુધી થોરો એકાંતમાં બસ કુદરતને નીરખ્યા કરતાં, પાંદડાઓનો અવાજ, પક્ષીઓનો કલરવ, દેડકાંના અવાજ, સરોવરમાંથી આવતો પાણીનો અવાજ....આ બધા અવાજોમાં એક અદભૂત અવાજ એટલે મૌનનો નાદ....જો સત્ય સાહિત્યમાં મળતું હોય તો એ પણ સત્ય છે કે સત્યની શોધ કુદરત સાથે પણ કરી શકાય. વોલ્ડનના નિવાસ દરમિયાન પુસ્તકમાં ધ્વનિ પર જ આખું પ્રકરણ લખી નાખ્યું છે. પાછું અવાજની વાત કરતાં ખાલી અને ખોખલી વાતો નહીં પણ બિઝનેસ કરવા માટે હિંમત જોઈએ, એ માટે તમારો અવાજ હોવો જોઈએ એ પણ લખવાનું....

શિયાળામાં વોલ્ડન કિનારે સરોવર હોવા છતા પાણી જ ન મળે, બધે દોઢ બે ફૂટના બરફ....થોરો લખે છે કે પાણી શોધવા સવારે કુહાડી સાથે રાખીને નીકળુ અને જ્યાં ઓછો બરફ હોય ત્યાં બરફ તોડું..અને તોડેલા બરફ નીચે માછલી જોવા મળે તો એવું લાગે કે હું માછલીના ડ્રોઈંગ રુમમાં ફરી રહ્યો છું.... અહીંથી સવાર સવારમાં નવી બનેલી માછલી નામની મિત્રો સાથે દોસ્તી શરૂ થતી. તેમના ડ્રોઈંગ રૂમના તળીયે જોવા મળતી સ્વચ્છ રેતી અને સુસંસ્કૃત ઘરોમાં જોવા મળે તેવી અદ્ભુત શાંતિ આ માછલીઓના નિવાસસ્થાને જોવા મળતી. વરાહ અવતારની જેમ થોરો કહી દે કે પર્ચ માછલી જીવડાં ખાય, પિક્રેલ માછલી પર્ચને ખાય અને માછીમાર પિક્રેલ માછલી પકડે....યહી હૈ જિંદગી....કોઈ ખાસ સાધનો વિના થોરોએ સરોવર પાસે સતત નિરિક્ષણ કરીને સરોવરની ઉંડાઇ શોધી કાઢી. વોલ્ડન સરોવર વધુમાં વધુ એકસો બે ફૂટ ઉંડુ છે.....

આ નિરિક્ષણના અંતે મજાની વાત લખી છે કે માણસજાત અભ્યાસ કરવાનું છોડી દે છે બાકી પ્રકૃતિના સત્યની ઉંડાઇ પણ શોધી શકે છે. આ માટે થોરો બહુ સરળ વાત કહે છે કે વરસાદ પછી રસ્તામાં પડેલાં ગંદા ખાબોચિયા કોઇ માપવા જતું નથી પણ માત્ર જોવાથી જ ખબર પડી જાય છે કે કેટલું ઉંડાઇવાળું હશે....બસ સરોવરોની ઉઁડાઇ માપવી હોય તો સેમ ટુ સેમ ફોર્મ્યુલા... પણ સવાલ નજરને કેળવવાનો છે. અચાનક વોલ્ડનના શિયાળામાં ગંગાકિનારો યાદ આવી જાય છે અને થોરો કહે છે કે, સવારમાં વોલ્ડન કિનારે મનને જ્ઞાન આપવા ભગવદ્દ ગીતા સમજું છું, આ સાહિત્ય સામે આધુનિક સાહિત્ય સાવ વામણું છે. આ ગ્રંથ વાંચતા વાંચતા વોલ્ડનમાં પાણી લેવા માટે જઉં છું તો જાણે ગંગાજળ લાવતો હોઉં એવું લાગે છે.....ભગવદ્દ ગીતામાં મને વોલ્ડન અને ગંગા વચ્ચે કોઈ ભેદ દેખાતો નથી.

થોરો જંગલના અનુભવમાં બહુ મહત્વની વાત કહે છે કે માણસ પાસે પોતાના માટે સમય જ નથી, એ કરતાં તો પોતાના માટે સમય આપવાની દાનત નથી. એ જે ખાય છે એનો એને સ્વાદ જ ખબર નથી, એ જે જુએ છે એમાં કે એ જે સાંભળે છે એમાં કોઈ જાતનો રોમાંચ જ અનુભવતો નથી. મહદઅંશે ઇન્દ્રિયો ખતમ કરતો જાય છે, એટલે જ ખાઉધરો બને છે પણ સ્વાદ સમજી શક્તો નથી. ભારતીય સંસ્કૃતિ એ તો કેવી રીતે ખાવું, પીવું કે સંભોગ કરવો તે પણ શીખવ્યું છે....જે જીવનમાં તુચ્છ ગણવામાં આવ્યું છે તે તમને ઉચ્ચતર સ્વરૂપ પર લઈ જઇ શકે છે. જિંદગીમાં કોઈ વસ્તુ નકામી નથી, નકામું બતાવીને છટકી જવાની દાનત બદલવાની જરૂર છે.

આ જ થોરો છેલ્લે કહી દે છે કે, સરોવર કિનારે આટલું બધું જ્ઞાન મળ્યું એનો અર્થ એવો નહીં કે બાકીનું જીવન સરોવર પર જ પૂરું કરવું. દરેક કાર્યની સમયમર્યાદા તો હોવી જોઈએ, સતત નવસર્જન તો ચાલવું જ જોઈએ. મને જે પ્રાપ્ત થયું છે તેના પરથી મારું જીવન ઉત્તમ કરવાનું છે, નહીં કે સતત સરોવર પર જ બેસી રહેવાનું.... આ આપણા માટે થોડું મુશ્કેલ છે.એકવાર સંસાર છોડીને નર્મદા કિનારા પર ગયેલો કે સાધુ મહારાજ બનેલો પરત આવવો જોઈએ. સંસારમાં પાછા આવવાને પાપ ન ગણવું જોઈએ, એની કેપેસીટી મુજબ એને જ્ઞાન મળ્યું, ઈનફ ઈઝ ઇનફ..... જો વ્યક્તિ ને લાગે કે હવે પરત...ભલેને ઇશ્વર પણ કેમ ન મળી ગયાં હોય તો આપણે તેનું સ્વાગત કરવું જોઈએ. નર્મદા પ્રદક્ષિણા જેવા સન્યાસી જીવનની જેમ ટેમ્પરરી સાધુજીવનની ધર્મની દ્રષ્ટિએ પરવાનગી હોવી જોઈએ, હા પણ આપણે એ હિંમત તો કેળવવી પડશે કે તિર્થ તો મારું જ હશે.....કપડા હોય કે મિત્રો... બહુ નવા મેળવવા ભાગાભાગી ન કરો. જૂનાને સાચવો, ન સાચવી શકો તો જાતને બદલવાની કોશિષ કરો. ન ફાવે તો કપડા મિત્રો બદલી નાખો પણ મળેલા મૂલ્યો સાચવજો. એક સેનાને સેનાપતિ થી અલગ પાડીને હરાવી શકાય પણ ખોટી સમજોને માણસ પાસેથી છૂટી પાડવી અશક્ય છે. તો આવા લોકો માટે શક્તિ શા માટે વેડફો છો? થોરો બહુ સ્પષ્ટ કહે છે કે આત્માને જે જોઈએ છે તે ખરીદવા એકપણ રુપિયાની જરૂર નથી, પૈસા તો સુખ ભોગવવા માટે છે. તમને એવું લાગે કે મારી પૈસા નથી, તો ન્યુઝ પેપર કેવી રીતે ખરીદું? નહીં વાંચો તો દુનિયા બંધ થશે નહીં. નજર સામે પડેલી દુનિયા પાસે પણ ન્યુઝ પેપરમાં ન હોય એવું જ્ઞાન નજર સામે પણ છે. જિંદગી તો નદી જેવી છે, બહુ વરસાદ પડે તો નવી ઉંચાઈ મેળવે અને બહુ ગરમી પડે તો કોરી તો થાય પણ નવી ઉંડાઇ પણ મેળવે....હા, વરસાદ અને ગરમી તમારા હાથમાં નથી તો કાહે કા ડર, કાહે કી ફિકર.... શ્રાવણ બહુત કહેતા હૈ..... મહાન પ્રકાશ આપણા આંખોના દીવાને હોલવે એ પહેલાં આત્માની મસ્તી માટે પણ જીવી લો.....બાકી કલ કીસને દેખી?....

Blog by Deval ShastriDeval Shastri

Next Story