25 મેથી શરૂ થશે ડોમેસ્ટિક ફ્લાઈટ, સોશિયલ ડીસ્ટન્સિંગના નિયમો સાથે મળી પરવાનગી
દેશભરમાં ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા ૨૫ મેથી શરૂ થશે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. લોકડાઉનના કારણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. હાલમાં જ સરકારે રેલવે સેવાની ફરીથી શરૂઆત કરી છે અને હવે ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા પણ ૨૫ મે એટલે કે સોમવારથી શરૂ થશે. હરદીપ પુરીએ જણાવ્યું હતું કે, સોમવાર ૨૫ મે,2020થી ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા શરૂ થઇ જશે. દરેક હવાઈમથકને સુચના આપી દેવામાં આવી છે. યાત્રીઓ માટે SOP પણ જાહેર કરી દેવામાં આવી છે.
આ પહેલા નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પૂરીએ મંગળવારે એક ટ્વીટ કર્યું હતું કે, હવાઈ સેવા શરૂ કરવાની જવાબદારી કેન્દ્રની સાથે સાથે રાજ્યની પણ છે. તેમણે તેના માટે તૈયાર રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે, દેશમાં ૨૫ માર્ચથી ચાલી રહેલા લોકડાઉનના કારણે ઉડ્ડયનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. લોકડાઉનનું ચોથું ચરણ ૩૧ મે સુધી છે. સરકાર ધીરે ધીરે પ્રતિબંધો ઉઠાવી રહી છે. રેલવે મંત્રાલયે પણ મંગળવારે ૨૦૦ નોન એસી ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેન ૧ જુનથી નિયમિતપણે પોતાના ટાઈમ ટેબલ અનુસાર ચાલશે.