ગીર સોમનાથ : સોમનાથ મંદિરના 74મા સંકલ્પ દિન નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ
ગીર સોમનાથ જીલ્લામાં આવેલ સોમનાથ મંદિરના આજે 74મા સંકલ્પ દિન નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ગુજરાતના સોમનાથ મંદિરના આજે 74મા સંકલ્પ દિનની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી. દેશ આઝાદ થયો અને જુનાગઢને આઝાદી અપાવી 13 નવેમ્બર 1947ના રોજ નૂતન વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથ આવ્યા હતા, ત્યારે સોમનાથ મંદિરના જીર્ણ અવશેષો જોઈ સરદાર વલ્લભભાઈ પટેલનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. તેઓએ સોમનાથ મંદીરના પુનઃ નિર્માણ માટે સમુદ્ર જળને હાથમાં લઈને સંકલ્પ કર્યો હતો, ત્યારે આજરોજ આ સંકલ્પને ૭૩ વર્ષ પૂર્ણ થયા છે.
શ્રી સોમનાથ મંદિર પરિસરમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અવિરત ભગવાન સોમનાથના દર્શન કરી રહી છે, ત્યારે સોમનાથ મંદિર સંકલ્પ દિવસ નિમિતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સોમનાથ મહાદેવની મહાપૂજા કરવામાં આવી હતી. જેમાં તિર્થપુરોહિતો, શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખાસ વિશેષ શૃંગાર તથા દીપમાળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.