Connect Gujarat
ગુજરાત

જીપીસીબીના અધિકારીની બેદરકારીથી ઉદ્યોગો પર એનજીટીની ગાજ વરસી

જીપીસીબીના અધિકારીની બેદરકારીથી ઉદ્યોગો પર એનજીટીની ગાજ વરસી
X

સમગ્ર વિશ્વમાં અંકલેશ્વર જીઆઇડીસી આગવી ઓળખ અને નામના ધરાવે છે. પોતાની ઉત્પાદનની શક્તિ અને વિભિન્ન ક્ષેત્રે નવીનતાના કારણે વિખ્યાત એવા અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારને કેટલાક બે જવાબદાર સરકારી અધિકારીઓના કારણે હાલ ઉત્પાદન ક્ષેત્રે દુકાળનો સામનો કરવો પડી રહયો છે. ઉદ્યોગો હાલ અત્યંત ખરાબ કહી શકાય તેવી હાલતમાંથી પસાર થઇ રહયાં છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના જે તે સમયના અધિકારીઓ અને સરકારના મંત્રીઓની મહા મેહનત અને અથાગ પ્રયાસોના કારણે અંકલેશ્વર સહીત ગુજરાતના કેટલાક ઔદ્યોગિક વિસ્તારોને ક્રિટિકલ ઝોનમાંથી કેન્દ્ર સરકાર દ્વારા છૂટ મળી હતી પરંતુ આ છૂટને મોકળું મેદાન સમજી પ્રદુષણ ઓકતા કેટલાક ઉદ્યોગોને નાથવામાં નિષ્ફળ એવા અંકલેશ્વર ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના એક અધિકારીના કારણે આજે ફરી અંકલેશ્વર જીઆઇડીસી પર નેશનલ ગ્રીન ટ્યુબીનલ ( એનજીટી) ની ગાજ વરસી છે. પ્રદુષણની માત્રા નિયત કરતાં વધારે હોવાથી અંકલેશ્વર માં કોઈ પણ નવા ઉદ્યોગ ને મંજૂરી આપવાનો મનાઈ હુકમ કરવામાં આવ્યો છે.

પ્રદુષણ ઓકતા ઉદ્યોગો સાથે સાઠગાંઠ હોય તેમ આ અધિકારી ફક્ત નાના ઉદ્યોગોને હેરાન કરવામાં રચ્યા પચ્યા રહે છે. અને મોટા અને બેજવાબદાર ઉદ્યોગોને છાવરતા રહયાં છે. તેમના પક્ષપાતી વલણે આજે અંકલેશ્વરને ફરી પ્રદુષણના ભરડામાં નાખી દીધું છે. પોતાની મનમાની અને નિષ્કાળજીના કારણે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અંકલેશ્વરના આ વરિષ્ઠ ગણાતા અધિકારીને પોતાની નિષ્ફળતાનું ભાન થતા ખુદ અંકલેશ્વરથી બદલીની માંગ સાથે કેટલાક મંત્રીઓને આંગણે પણ જઈ આવ્યા છે. સરકારના અન્ય ખાતાઓમાં જયારે અધિકારીની નિષ્કાળજી સામે આવે છે ત્યારે તેની વિરુદ્ધ પગલાં ભરવામાં આવે છે પરંતુ પર્યાવરણ ક્ષેત્રે સંવેદનશીલ સરકાર અસંવેદનશીલ થઇ હોય તેમ આ અધિકારીને અંકલેશ્વરમાં છાવરવામાં આવી રહ્યાં છે. પ્રજાના કિમંતી મતોથી ચૂંટાયેલા સરપંચથી સાંસદ સુધીના આગેવાનોએ આ અધિકારી વિરુદ્ધ ગુજરાત સરકારમાં રજુઆત કરી છે પરંતુ આ અધિકારીની નિષ્કાળજીમાં કોઈ ફેર આવ્યો નથી. સમાજમાં સમાજ સુરક્ષા અર્થે કામ કરતા લોકો સાથે પણ ઉદ્વતાઈ ભર્યું વર્તન કરવાની ટેવવાળા આ અધિકારી આજે પણ તેની સામે અવાજ ઉઠાવનારા ઉદ્યોગો સામે વેરની વસુલાત કરવા કંઇ પણ કરી છુટવાની માનસિકતાને દુર કરી શકયાં નથી. અંકલેશ્વરમાં પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગોને મોકળું મેદાન આપનાર આ અધિકારીની બેજવાબદારીના કારણે નેશનલ ગ્રીન ટયુબનલ દ્વારા હાલમાંજ અંકલેશ્વર પર કેટલાક પ્રતિબંધ લગાડવામાં આવ્યા છે. માત્ર અધિકારીની નિષ્કાળજી અને સરકારની જવાબદાર અધિકારી સામે આંખ આડા કાન કરવાની નિતિના કારણે દેશ અને રાજ્યને કરોડો રૂપિયાનું નુકશાન થઇ રહ્યું છે ત્યારે સરકાર આ અધિકારી સામે કડક પગલાં લઇ કોઈક પ્રમાણિક અને જવાબદાર અધિકારીની અંકલેશ્વરમાં નિમણુંક કરે તેવી માંગ ઉદ્યોગ આલમમાંથી પ્રબળ બની રહી છે.

Next Story