ગુજરાતમાં 108 ઈમરજન્સી સેવાને 15 વર્ષ પૂર્ણ, 12.67 લાખ લોકોના જીવ બચાવ્યા...
રાજ્યમાં મેડિકલ ઈમરજન્સીને પહોંચી વળવા માટે વર્ષ 2007માં શરૂ થયેલી 108 ઈમરજન્સી સેવાને 15 વર્ષ પૂર્ણ થયા છે.
રાજ્યમાં મેડિકલ ઈમરજન્સીને પહોંચી વળવા માટે વર્ષ 2007માં શરૂ થયેલી 108 ઈમરજન્સી સેવાને 15 વર્ષ પૂર્ણ થયા છે. તા. 29 ઓગષ્ટે 2007માં 108 સેવા શરૂ થઇ હતી. એક જ કોલમાં દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડનાર આ સેવામાં 15 વર્ષમાં અંદાજે 12.67 લાખ લોકોના જીવ બચ્યા, જ્યારે અત્યાર સુધીમાં 1.20 લાખ બાળકોનો એમ્બ્યુલન્સમાં જ જન્મ થયો છે.
રાજ્યમાં 33 જિલ્લામાં 108 સેવાની 800 એમ્બ્યુલન્સ કાર્યરત થઇ. 15 વર્ષમાં અંદાજે 1.37 કરોડ જેટલા કોલ આવ્યા. મહત્વનું છે કે, ગુજરાતમાં વરસાદી માહોલ દરમિયાન પણ 108 દેવદૂત સાબિત થઇ છે. વરસાદી માહોલમાં 108 દ્વારા 29 હજારથી વધુ દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. દક્ષિણ ગુજરાત હોય કે, સૌરાષ્ટ્ર, અમદાવાદ મેટ્રો શહેર હોય કે, પછી કોઈ ગામ. ઇજાગ્રસ્ત, બીમાર કે, ભોગ બનનાર વ્યક્તિ કે, પછી સગર્ભા મહિલા હોય, આ તમામને હોસ્પિટલ પહોંચાડીને પ્રાથમિક સારવાર આપવાનું કાર્ય કર્યું. ગુજરાતમાં 2007માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પીએમ નરેન્દ્ર મોદી દ્વારા એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી હતી. જે સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી 800થી વધુ 108 સેવામાં કાર્યરત છે. આ સમગ્ર 108 સેવાનું મોનીટરીંગ ઇમરજન્સી મોનીટરીંગ એન્ડ રિસ્પોન્સ સેન્ટર અમદાવાદથી સંચાલિત થાય છે, જ્યાં રોજના અંદાજીત 7 હજાર જેટલા કોલ લેવામાં આવે છે.