અમદાવાદ : દસક્રોઈના 5 ગામોનો ઘાટલોડિયામાં સમાવેશ, ભૌગોલિક અંતર ઘટતાં સ્થાનિકોને રાહત
રાજ્યમાં એક બાજુ ચૂંટણી પહેલાનો ધમધમાટ શરૂ થઇ ગયો છે, ત્યાં જ સરકાર દ્વારા પ્રજાલક્ષી અને વિકાસકામોની પણ રફતાર પૂરજોશમાં જોવા મળી રહી છે.
રાજ્યમાં એક બાજુ ચૂંટણી પહેલાનો ધમધમાટ શરૂ થઇ ગયો છે, ત્યાં જ સરકાર દ્વારા પ્રજાલક્ષી અને વિકાસકામોની પણ રફતાર પૂરજોશમાં જોવા મળી રહી છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસુલ વિભાગના આ મહત્વના નિર્ણય અનુસાર, દસક્રોઈ તાલુકાના 5 ગામ અમદાવાદ જિલ્લાના ઘાટલોડિયા તાલુકામાં સમાવાયા છે.
દસક્રોઈ તાલુકાના જે 5 ગામ અમદાવાદ જિલ્લાના ઘાટલોડિયા તાલુકામાં સમાવવામાં આવ્યા છે. જેમાં લીલાપુર, લપકામણ, ખોડીયાર, બોપલ અને ગુમા ગામનો સમાવેશ થાય છે. આ 5 ગામના નામ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાંથી કમી કરવામાં આવ્યા છે, અને ઘાટલોડિયા તાલુકામાં સમાવવામાં આવ્યા છે. મહેસૂલ વિભાગના આ નિર્ણયથી દસક્રોઈ તાલુકાના 5 ગામ હવે ઘાટલોડિયા તાલુકામાં ગણાશે. એટલું જ નહીં, આ નિર્ણયથી 5 ગામના લોકોને થતી હાલાકી પણ દૂર થશે. કેમ કે, અગાઉ લીલાપુર, લપકામણ, ખોડીયાર, બોપલ અને ગુમા ગામના લોકોને મહેસૂલી કામ માટે પૂર્વ પ્રાંત ઓફીસ વસ્ત્રાલ જેવું પડતું હતું. જે લગભગ 35 કિલોમીટર દૂર આવેલી છે. હવે આ નવા નિર્ણયને લીધે 5 ગામોનો સમાવેશ ઘાટલોડિયા તાલુકામાં થતાં તેમને મહેસૂલી કામ માટે પશ્ચિમ પ્રાંતની ઓફિસમાં જવું પડશે. જેથી ભૌગોલિક અંતર ઘટતાં સ્થાનિક લોકોને પણ રાહત મળશે.