New Update
ભરૂચના ઝઘડિયા પંથકમાં ખૂબ ભારે વરસાદ ખાબકયો હતો, ગણતરીના કલાકોમાં જ પાંચ ઇંચ જેટલો વરસાદ ઝઘડિયા પંથકમાં નોંધાઈ ચૂક્યો હતો, રસ્તાઓ બંધ થઈ ગયા હતા, જેમાં ઝઘડિયા જીઆઇડીસીની ડીસીએમ શ્રીરામ લિમિટેડ કંપનીમાં ફરજ બજાવતા તુષાર પટેલ રહે. જુના કાસીયા તા. અંકલેશ્વર નાઈટ શિફ્ટ કરી ખરચી થી માંડવાવાળા રોડ પર વિકાસ હોટલની પાછળથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તે તેની બાઈક સાથે વરસાદી પાણીના ભારે પ્રવાહમાં ખેંચાયો હતો.
આ બાબતની જાણ મુલદ પોલીસ ચોકી પર ફરજ બજાવતા જયેશ મણીલાલ પ્રજાપતિને થતા તેઓ તાત્કાલિક તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લગભગ બે કલાકની ભારે જહેમત બાદ તુષાર પટેલને હેમખેમ રીતે બહાર કાઢવામાં આવ્યો હતો..
જયેશ પ્રજાપતિની આ સરાહનીય કામગીરીને ધ્યાનમાં રાખી ઝઘડિયા જીઆઇડીસીની ડીસીએમ શ્રીરામ લિમિટેડ દ્વારા જયેશ મણિલાલ પ્રજાપતિ તથા અન્ય એક સહાયક પોલીસ કર્મીને સરાહાનીય કામગીરીને બિરદાવી પ્રોત્સાહન રૂપે જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના હસ્તે સન્માન પત્રક અર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા ટ્રાફિક વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એલ.મહેરીયાનું પણ પ્રશંશનીય કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું.