Connect Gujarat
ગુજરાત

ભાવનગર : કોરોના કાળમાં યશસ્વી કામગીરી કરવા બદલ પોલીસ અધિકારી-કર્મચારીઓનું સન્માન કરાયું

જન્માષ્ટમી નિમિત્તે ઓમ સેવાધામ સંસ્થા દ્વારા વર્ષ:૨૦૨૧ના વર્ષ દરમ્યાન ભાવનગર પોલીસ કોરોના વોરિયર્સ અધિકારીઓ અને કર્મચારીઓને વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

ભાવનગર : કોરોના કાળમાં યશસ્વી કામગીરી કરવા બદલ પોલીસ અધિકારી-કર્મચારીઓનું સન્માન કરાયું
X

જન્માષ્ટમી નિમિત્તે ઓમ સેવાધામ સંસ્થા દ્વારા વર્ષ:૨૦૨૧ના વર્ષ દરમ્યાન ભાવનગર પોલીસ કોરોના વોરિયર્સ અધિકારીઓ અને કર્મચારીઓને વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલ વડિલોને દ્વારે કૃષ્ણ પધારો કાર્યક્રમમાં વિશેષ સેવા બદલ કુલ ૬૪ પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું

દેશમાં સૌથી નાની વયના આઈ.પી.એસ. ઓફિસર તથા ભાવનગર મદદનીશ પોલીસ અધિક્ષક સફિન હસને પોતાના મનનીય વક્તવ્યમાં જણાવ્યું હતું કે, કૃષ્ણ એક એવાં ભગવાન છે કે, જેઓ ૨૧મી સદીમાં પણ એટલાં જ પ્રસ્તુત, પથદર્શક અને પ્રાસંગિક છે, જેટલા તેઓના અવતરણ સમયે હતા, અને આવનારા સમયમાં પણ રહેશે. કૃષ્ણને જગત ગુરુ કહેવામાં આવ્યા છે. જીવન કેમ જીવવું તે તેમના જીવનના દરેક પ્રસંગમાંથી શીખવા મળે છે. ભગવાન કૃષ્ણના જીવનમાં અનેક દુઃખ દર્દ હતા. છતાં, તેઓ હસતા મુખે તમામ પરિસ્થિતિને સ્વીકારી આગળ વધતા રહ્યા. ક્યારેય તેઓએ વિષાદને પ્રદર્શિત થવા દીધો નથી. હંમેશા તેઓ હસતા રહ્યા અને આગળ વધતા રહ્યા હતા. માતા-પિતા હોય કે ગોકુળ, રાધા હોય કે દ્વારિકા ત્યાગ જ કર્યો છે. આ વાતને ટાંકતાં એ.એસ.પી.એ કહ્યું કે, પોલીસે પણ કૃષ્ણ પાસેથી ઘણું શીખવા જેવું છે.

આ પ્રસંગે ખોડિયાર પીઢાધિશ્વર મહામંડલેશ્વર પૂ. ગરીબરામબાપુએ આશીર્વચન આપતાં કહ્યું કે, કોરોના કાળ વહેલી તકે ખતમ થાય તેવી દરેક ઉપર કૃષ્ણ કૃપા કરે. સંસ્થાના સન્માન સમારોહ, પોલીસ કામગીરી અને નાના ભલુકાઓના કૃષ્ણ પ્રેમની તેઓ એ સરાહના કરી હતી. તપસી બાપુ વાડી જગ્યાના મહંત રામચંદ્રદાસબાપુએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે, કૃષ્ણને આજે આખી દુનિયા અનુસરે છે ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે વિશેષ કામગીરી બદલ પોલીસનું સન્માન ખૂબ પ્રશસનીય કાર્ય છે. આ પ્રસંગે ૧૧૪ નાના બાળકોએ કૃષ્ણ વેશભૂષા સ્પર્ધામાં ભાગ લીધો હતો. શ્રેષ્ઠ એકથી ત્રણ નંબરને એવોર્ડ આપી સન્માનિત કરાયાં હતાં. જ્યારે અન્ય તમામને પ્રમાણપત્ર અને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. આ સમારોહમાં આધ્યાત્મિક ગુરુ શૈલેષદાદા પંડિત, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કિરીટ સોની, ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર પ્રમુખ દેવલ ઝાલા, શહેર ભાજપ અધ્યક્ષ રાજીવ પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઓમ સેવાધામ સંસ્થાના પ્રમુખ વિજય કંડોલિયા, અમીબે મહેતા, હેતલ પંડ્યા,વર્ષા ગોહેલ, બીપીન ઝાલા સહિતનાએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Next Story