ચૂંટણી જીતવા ભાજપનો "માસ્ટર પ્લાન" : 5 રાજ્યના કાર્યકરોના ચૂંટણી પૂર્વે ગુજરાતમાં ધામા...
ચૂંટણી પૂર્વે રાજ્યમાં ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના કાર્યકરોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે. UPના કાર્યકરો બે દિવસ સુધી સૌરાષ્ટ્રની 48 બેઠકોનો પ્રવાસ કરશે.
ચૂંટણી પૂર્વે રાજ્યમાં ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના કાર્યકરોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે. UPના કાર્યકરો બે દિવસ સુધી સૌરાષ્ટ્રની 48 બેઠકોનો પ્રવાસ કરશે.અમદાવાદની 16 બેઠકો અને સૌરાષ્ટ્રની 48 બેઠકો માટે 128 જેટલા UPના કાર્યકરો પ્રવાસ કરશે, જ્યારે રાજસ્થાન ભાજપના 80 કાર્યકરો આજથી ઉત્તર ગુજરાતની 40 બેઠકોનો પ્રવાસ ખેડશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એટલે કે, વર્ષ 2017માં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બરાબરીની ચૂંટણી જંગ જામી હતી. હંમેશા 3 આંકડામાં જીતતા ગુજરાત ભાજપને 99 બેઠક જીતી સંતોષ માનવો પડ્યો હતો. પરંતુ આ વખતે ગુજરાતમાં AAPની એન્ટ્રીથી ત્રિપાંખિયો જંગ નક્કી છે. શહેરી બેઠકો પર ભાજપ નું રાજ છે, જ્યારે ગામડાઓ પર કોંગ્રેસનું વર્ચસ્વ પણ AAPની મજબૂત ઈનિંગથી ભાજપ અને કોંગ્રેસમાં ડર બેઠો છે. આગળની કોઈપણ ચૂંટણીમાં અન્ય રાજ્યના કાર્યકર્તા પર નિર્ભર ન રહેતા ગુજરાત ભાજપે પણ 5 રાજ્યોના કાર્યકરોને ગુજરાતમાં ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપી છે. એનો સીધો જ મતલબ છે કે, કોઈપણ ભોગે ભાજપ ચૂંટણીમાં ઢીલી નીતિ રાખવા માંગતા નથી.
તેના જ ભાગરૂપે પ્રદેશ ભાજપ દ્વારા અત્યારથી જ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. જુદા જુદા 5 રાજ્યોના કાર્યકરો ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં આવ્યા છે. ગઇકાલથી જ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કાર્યકરોએ બે દિવસ માટે ગુજરાતમાં ધામા નાખ્યા છે. જેમાં કાર્યકરો ઘરે-ઘરે જઈને ગુજરાત ભાજપના કાર્યકરો સાથે ચૂંટણી પ્રચારમાં જોતરાશે. તો બીજી બાજુ કેન્દ્રીય નેતાઓ સતત ગુજરાત પ્રવાસ ખેડશે. ખાસ કરીને PM મોદી અને અમિત શાહ દિલ્હીથી ગુજરાત સુધી સતત સભા ગજવશે. રાજ્યમાં અનેક રેલીઓ, રોડ-શો અને કાર્યક્રમો ગોઠવાશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ ગુજરાતની મુલાકાતે આવશે. ભાજપ રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ.સંતોષ પણ સતત ચૂંટણી વ્યૂહરચના સંદર્ભે ઝીણવટભર્યા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી આયોજન કરવામાં વ્યસ્ત છે.