Connect Gujarat
ગુજરાત

ડાંગ : આહવા ખાતે યોજાયો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો સેવાયજ્ઞ

ડાંગ : આહવા ખાતે યોજાયો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો સેવાયજ્ઞ
X

કોરોના કાળમાં રાજ્ય અને કેન્દ્ર સરકારે ખુબ જ સંવેદનશીલતા સાથે પ્રજાજનોની આંતરડી ઠારવાનું કાર્ય કરીને પ્રજાજનોના આશીર્વાદ મેળવ્યા છે, તેમ જણાવતા આહવા ખાતે ગુજરાત મહિલા આયોગના ચેરપર્સન લીલા અન્કોલીયાએ પ્રજાવત્સલ રાજ્ય અને કેન્દ્ર સરકારના અભિગમનો ખ્યાલ આપ્યો હતો.

કોરોના અને લોકડાઉનને કારણે કપરી પરિસ્થિતિ વચ્ચે ખડેપગે રહીને રાજ્ય અને કેન્દ્ર સરકારે આદરેલા પ્રજા કલ્યાણના કાર્યોમાં સરકારના તમામ વિભાગોના અધિકારી, કર્મચારીઓ, અને સેવાભાવી સ્વયંસેવકો એ પ્રજાહિતના કાર્યો કરીને આ આપદાનો સામનો કર્યો છે, તેમ જણાવતા લીલા અન્કોલીયાએ સરકારના સેવાયજ્ઞની વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી. કોરોના કાળમાં પોતાને થયેલા સ્વાનુભાવો વર્ણવતા મહિલા આયોગના ચેરપર્સને રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ વિકાસકાર્યોની ઝાંખી કરાવી સુશાસનના પાંચ વર્ષ જનસેવાના કાર્યોના આ સેવાયજ્ઞની જાણકારી આપી, રાજ્યમાં મહિલાઓની સુરક્ષા માટે સેવારત મહિલા આયોગની પ્રવૃત્તિઓનો પણ ખ્યાલ આપ્યો હતો.

ડાંગના પ્રજાજનોને કોરોના વિરોધી રસી લઈને પોતાને તથા પોતાના પરિવારોને સુરક્ષિત કરવાનું આહ્વાન કર્યું હતું. ગુજરાતની મહિલાઓના સશક્તિકરણ માટે સરકારની સાથે રાજ્યની અગ્રણી મહિલાઓ, કાર્યકરો પણ આગળ આવે તે આવશ્યક છે તેવી અપીલ કરતા તેમણે મહિલાઓને આત્મનિર્ભર બનાવતા કાર્યોની પણ જાણકારી આપી હતી. રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રજા કલ્યાણના સેવાયજ્ઞ ને કારણે ખાસ કરીને આદિજાતિ વિસ્તારોમા આવેલા સામાજિક અને માનસિક બદલાવનો ખ્યાલ આપી ચેરમેનએ સામાજિક બદલાવ માટે સૌને સાથે મળીને, વિકાસની રાહ ઉપર આગળ વધવાનો અનુરોધ કર્યો હતો.

ડાંગ જેવા સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાના 100 ટકા લાભાર્થીઓને કોરોનાના કપરા કાળમાં ઘરબેઠા વિનામૂલ્યે અનાજ પહોંચાડીને સંવેદનશીલતા દાખવનારા મુખ્યમંત્રી વિજય રૂપાણી, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમગ્ર પ્રજાજનો વતી ઋણ સ્વીકાર કરતા ભાજપા પ્રમુખ દશરથ પવારે, પ્રજા વત્સલ સરકારે દરેક પ્રજજ્નની ચિંતા કરીને તેમના જઠરાગ્નીને ઠારી છે, તેમ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યુ હતું. કાર્યક્રમની રૂપરેખા આપતા ડાંગ કલેકટર ભાવિન પંડ્યાએ જિલ્લામાં ચાલી રહેલા શ્રેણીબદ્ધ કાર્યક્રમોની જાણકારી પૂરી પાડી હતી.

Next Story