ગાંધીનગર : વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેનાર આમંત્રિતોને પણ રહેવું પડશે "ક્વોરન્ટાઈન"
આગામી જાન્યુઆરી 2022માં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ સમિટ યોજાવાની છે. તો બીજી તરફ ઓમિક્રોનનો ભય પણ તોળાઈ રહ્યો છે.
આગામી જાન્યુઆરી 2022માં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ સમિટ યોજાવાની છે. તો બીજી તરફ ઓમિક્રોનનો ભય પણ તોળાઈ રહ્યો છે. આવામાં વાયબ્રન્ટમાં આવનારા મહેમાનોને 7 દિવસ ક્વૉરન્ટાઈન થવું પડશે. કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી ઈન્ટરનેશનલ અરાઈવલ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લામાં 11 દેશોમાંથી આવતા કોઈપણ નાગરિકને 'ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ'ના ત્રિ-સૂત્ર સિદ્ધાંત અનુસાર રોગના દર્દીઓને વહેલામાં વહેલા શોધી સારવાર પર મુકવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં યુરોપિયન દેશો સહિત 11 દેશોમાંથી આવતા તમામ નાગરિકોને ભારત સરકારની એસઓપી મુજબ એરપોર્ટ તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. તેમજ ગાંધીનગર જિલ્લામાં પ્રવેશ્યા બાદ 11 દેશોમાંથી પરત આવેલા નાગરિકોને ફરજિયાત 7 દિવસ સુધી હોમ ક્વોરોન્ટાઈન થવાનું રહેશે, જ્યારે આઠમાં દિવસે RT-PCR ટેસ્ટ કરાવવાનો રહેશે. જો ટેસ્ટ નેગેટિવ હોય તો પણ 7 દિવસ સુધી સેલ્ફ મોનિટરિંગ કરવાનું રહેશે. જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો સીધી અસર એક મહિના પછી ગાંધીનગર મહાત્મા મંદિર માં યોજાનાર વાઈબ્રન્ટ સમિટ પર થશે. જેમાં 11 દેશોમાંથી આવતા મહેમાનોને પણ નિયમનું પાલન કરવાનું રહેશે. આ 11 દેશોમાં યુનાઈટેડ કિંગડમ સહિત યુરોપીયન દેશો, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, બોત્સવાના, ચાઈના, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, હોંગકોંગ અને ઈઝરાયેલનો સમાવેશ થાય છે.