Connect Gujarat
ગુજરાત

રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુને લઈને સરકારનો મહત્વનો નિર્ણય

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં રાત્રિ કર્ફ્યુને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કરફયુની સમયમર્યાદા 31 જુલાઇ સુધી લંબાવવામાં આવી છે.

રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુને લઈને સરકારનો મહત્વનો નિર્ણય
X

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોનાના દૈનિક કેસોની પ્રર્વતમાન સ્થિતીના થઇ રહેલા સતત ઘટાડાની સમીક્ષા કરીને વધુ કેટલાક નિયંત્રણો હળવા કરવાના નિર્ણયો લેવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતીમાં મળેલી આ કોર કમિટીમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજ્યના જે 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જુનાગઢમાં હાલ રાત્રિ કર્ફ્યુ રાત્રે 10 થી સવારે 8 સુધી અમલમાં છે. ત્યારે આ રાત્રિ કર્ફ્યુની મુદત તારીખ 20 જુલાઇ 2021ના રોજ મંગળવારે સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે તેને હવે 31 જુલાઇ 2021 સુધી લંબાવવામાં આવી છે. એટલે કે આ 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની સમયાવધિ હવે તારીખ 1 ઓગસ્ટ 2021 સવારે 6 વાગે પૂરી થશે.

કોર કમિટીમાં લેવાયેલા અન્ય નિર્ણયો મુજબ રાજ્યમાં વોટર પાર્કસ અને સ્વિમીંગ પૂલ તારીખ 20 જુલાઇ 2021થી તેની ક્ષમતાના 60 ટકા સાથે અને કોરોના ગાઇડલાઇનના નિયમોના પાલન સાથે નિયત એસ.ઓ.પી.ને આધિન શરૂ કરી શકાશે. આવી સંસ્થાઓના માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓએ તારીખ 31 જુલાઇ 2021 સુધીમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લેવાનો રહેશે અન્યથા આવા વોટર પાર્કસ કે પૂલ ચાલુ રાખી શકાશે નહિ.

રાજ્યમાં પ્રાયવેટ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓ માટે પણ તારીખ 20 જુલાઇ 2021થી કેટલીક છૂટછાટો આપવાનો નિર્ણય કોર કમિટીમાં લેવામાં આવ્યો છે. સાથેજ પબ્લિક અને પ્રાયવેટ ટ્રાન્સપોર્ટમાં નોન એ.સી બસ સેવાઓ 100 ટકા કેપેસિટી સાથે શરૂ કરી શકાશે પરંતુ આવી સેવાઓમાં મુસાફરોને ઊભા રહી પ્રવાસ કરવાની મંજૂરી અપાશે નહી. એ.સી સેવાઓ તેની ક્ષમતાના 75 ટકા પેસેન્જરો સાથે શરૂ કરી શકાશે. જોકે, તમામ ડ્રાઇવર અને કંડકટરે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં હોટલ, રિસોર્ટસ-રેસ્ટોરન્સ અને વોટર પાર્કસને એક વર્ષ માટે વીજ બિલમાં ફિકસ ચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર થયેલ વીજ વપરાશનું બિલ આકારવા અગાઉ તારીખ 7મી જૂને નિર્ણય કરેલો છે. આ મુજબ રાજ્યમાં વોટર પાર્કસ માટે પણ ખરેખર થયેલ વીજ વપરાશનું બિલ જ આકારવામાં આવશે પરંતુ ફિકસ ચાર્જ લેવાશે નહિ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાલ રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ નિયંત્રણના અન્ય નિયમો અને ગૃહ વિભાગ દ્વારા લાગુ કરાયેલા અન્ય નિયંત્રણો તારીખ 31મી જુલાઇ 2021 સુધી યથાવત રાખવાની પણ સૂચનાઓ આપી હતી.

કોર કમિટીની આ બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કેલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ સહિત વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story