Connect Gujarat
ગુજરાત

ખેડા : મહેમદાવાદના નવચેતન મુકામે ત્રિલોકવન-મિયાવાકી પધ્ધતિ દ્વારા ઘનિષ્‍ઠ વનીકરણ યોજાયું

ખેડા : મહેમદાવાદના નવચેતન મુકામે ત્રિલોકવન-મિયાવાકી પધ્ધતિ દ્વારા ઘનિષ્‍ઠ વનીકરણ યોજાયું
X

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના નવચેતન મુકામે વિધાનસભાના મુખ્‍ય દંડક પંકજ દેસાઇના અધ્યક્ષ સ્‍થાને ત્રિલોકવન-મિયાવકી પધ્ધતિ દ્વારા ઘનિષ્ઠ વનીકરણનો કાર્યક્રમ યોજાયો હતો.

આ અવસરે વિધાનસભાના મુખ્‍ય દંડક પંકજ દેસાઇએ જણાવ્‍યું હતું કે, વનીકરણ અંગેની નવચેતનાનો શુભારંભ નવચેતન ગામેથી થઇ રહયો છે. આ કામ મનરેગા યોજના અન્‍વયે થઇ રહયું છે. જેથી કોરોનાની મહામારીમાં જયારે નાગરિકોને રોજગારીની તકલીફ પડી રહી છે, તે આ યોજના અન્‍વયે ગામમાં જ રોજગારી મળશે જેથી ગ્રામજનોને આર્થિક ઉપાર્જનમાં મદદરૂપ થશે. સાથે સાથે ગામમાં જ ઘનિષ્‍ઠ વનીકરણ થવાથી ગામની હરીયાળીમાં વધારો થશે. કોરોનામાં શુધ્ધ ઓકિસજનની તકલીક શહેરીજનોને પડતી હતી. જે આ વનીકરણના માધ્યમથી વાતાવરણમાં ઓક્સિજનનું લેવલ વધશે.

વનીકરણ થવાથી ગામની જમીનનું ઘોવાણ પણ અટકશે. આ જિલ્‍લામાં આ ગામની પસંદગી થઇ છે, ત્યારે સૌ ગ્રામવાસીઓએ આ યોજનામાં જોડાઇને ઉત્તમ અને નમૂનારૂપ વનીકરણનો દાખલો જિલ્‍લામાં બેસાડવાનો છે. જેમાંથી પ્રેરણા લઇ જિલ્‍લાના અન્‍ય ગામોમાં પણ આ કામગીરીને અમલી બનાવી શકાય. આ વનીકરણને જાપાની પધ્ધતિથી કરવાનું હોવાથી ઝડપથી અને હવામાન તેમજ જમીનને યોગ્‍ય વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે જેથી વૃક્ષોનો ઉછેર ઝડપથી થશે.


જિલ્લા કલેકટર કે.એલ.બચાણીએ જણાવ્‍યું હતું કે, ૧૯૭૦ પછીના દાયકામાં જાપાનીશ ગણિતશાસ્‍ત્રી અને સંશોધક એવા મિયાવાકીએ વાતાવરણને અનુકૂળ ઝાડ-પાનનો ઉછેર કરવાની પધ્ધતિ વિકસાવી. આ પધ્ધતિ દ્વારા વૃક્ષોનો ઉછેર ૧૦ ગણો ઝડપથી થાય છે. આ માટે તેઓને ૨૦૦૬માં પર્યાવરણવિંદનું બિરુદ પણ મળ્યું હતું. ભારત દેશમાં અનેક રાજયોમાં આ પધ્ધતિથી વૃક્ષોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ છેલ્‍લા કેટલાક વર્ષોથી આ પધ્ધતિ દ્વારા વધુ વૃક્ષોનું વાવેતર થઇ રહયું છે. આપણે આ ગામમાં આ પધ્ધતિથી અંદાજે ૧૩૫૦૦ જેટલા વૃક્ષોનો ઉછેર ત્રણ વર્ષ દરમ્યાન મનરેગા યોજના અન્‍વયે કરવાનો છે.

જેમાં અંદાજે રૂા.૨૫.૬૩ લાખના ખર્ચે, પ્રથમ વર્ષે ૭૬૫૦ જેટલા માનવદિનની રોજગારી પુરી પાડવાનું આયોજન છે. જયારે બીજા વર્ષે ૫૫૦૦ અને ત્રીજા વર્ષે ૫૩૦૦ જેટલા માનવદિનની રોજગારી પુરી પાડવામાં આવનાર છે. આમ, ગ્રામજનોને ગામમાં જ રોજગારી મળતી થશે. જિલ્‍લા પંચાયત સદસ્‍ય હરમાનસિંહે આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્‍લા વિકાસ અધિકારી મેહુલ દવે, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક આર.ટી.ઝાલા, અગ્રણી સર્વ અજબસિહ, સરપંચ, મહેમદાવાદ અને ખેડાના તાલુકા વિકાસ અધિકારીઓ, નાયબ મામલતદાર સહિત અગ્રણીઓ, ખેડુત ભાઇઓ-બહેનો અને મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story