ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની અધ્યક્ષતામાં કિસાન મોરચાની બેઠક
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય દિગ્ગજો ગુજરાત આવી રહ્યા છે. દરેક પાર્ટીઓ પોતાનું શ્રેષ્ઠ આપવા માટે જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય દિગ્ગજો ગુજરાત આવી રહ્યા છે. દરેક પાર્ટીઓ પોતાનું શ્રેષ્ઠ આપવા માટે જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહી છે. ત્યારે ભાજપ દ્વારા ચૂંટણીને લઇને બેઠકોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આજે ભાજપના કિસાન મોરચાની બેઠક મળશે.પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળવા જઇ રહી છે જેમાં ચૂંટણી સુધી ના કાર્યક્રમની રૂપરેખા નક્કી થશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઇ નથી પરંતુ ભાજપ દ્વારા દરેક લેવલે ચૂંટણીની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. દરેક બૂથ પર કિસાન મોરચા દ્વારા કિસાન સંયોજકની નિમણૂક કરવામાં આવશે. પ્રાકૃતિક ખેતીના પ્રચાર અને પ્રસાર પર કામ કરશે. આ ઉપરાંત કૂવા રિચાર્જ અને તળાવ સફાઈ અભિયાન પણ ચલાવવામાં આવશે. આ ઉપરાંત કિસાન મોરચા દ્વારા પક્ષી ઘરની સફાઇ તથા ચણ પણ ઉઘરાવવામાં આવશે.રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા એક્શનમાં દેખાઇ રહી છે.મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી કૃષિ વિભાગની બેઠક મળી હતી. ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને બોલાવાયેલી આ બેઠકમાં રાજ્યપાલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતી યોજનાઓ પણ સમીક્ષા કરવામાં આવી હતી. મહત્વનું છે કે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. રાજ્યમાં રાસાયણિક ખાતરોના સ્થાને ગૌમુત્ર આધારીત સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી નો પ્રચાર અને પ્રસાર ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા થઇ રહ્યો છે.