મહીસાગર : સંતરામપુરમાં તસ્કરો બન્યા બેફામ, 5 મકાનોના તાળા તૂટ્યા..
તસ્કરો સામે કડક અને શિક્ષાત્મક પગલાં ભરી તસ્કરોને ઝડપી પાડવા માટેના પ્રયાસો હાથ ધરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
મહીસાગર જિલ્લાનું સંતરામપુર નગર છેલ્લા 15 દિવસથી તસ્કરોના નિશાના પર આવી ચૂક્યું છે. તસ્કરો અલગ અલગ પ્રકારની યોજનાઓ બનાવીને ચોરીને અંજામ આપી રહ્યા છે. ગાત્રો થીજાવતી ઠંડીમાં પણ 15 દિવસ અગાઉ તસ્કરોએ સંતરામપુરની મોહમ્મદી સોસાયટીને નિશાન બનાવ્યું હતું. ઉપરાંત સંતરામપુર નગરમાં આવેલી સત્યપ્રકાશ સોસાયટી, નંદનવન સોસાયટી, નારાયણનગર સોસાયટી, ગોકુલધામ સોસાયટી, કબીર મંદિર સામે આવેલી સોસાયટીમાં મકાનના તાળા તોડી રોકડ રકમની ચોરી થઈ હોવાનું લોકમુખે ચર્ચાય રહ્યું છે.
ગત રાત્રીના સમયે પણ સંતરામપુર મુખ્ય બજારમાં આવેલ ઢાલા બજાર કે, જે સોના-ચાંદીના વેપારી ધરાવતો વિસ્તાર છે, તેમાં પણ એકી સાથે 5 મકાનો, દુકાનોના તાળા તોડીને ચોરી કરવાનો સફળ પ્રયાસ કર્યો હતો. જે સંતરામપુર પોલીસને લપડાક સમાન છે, તેવું લોકમુખે જોરશોરથી ચર્ચાય રહ્યું છે. મહિસાગર જિલ્લાના પોલીસ વડા સંતરામપુરની પ્રજા ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે, ત્યારે પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવે, તસ્કરો સામે કડક અને શિક્ષાત્મક પગલાં ભરી તસ્કરોને ઝડપી પાડવા માટેના પ્રયાસો હાથ ધરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.