હવામાન વિભાગની આગાહી- રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે; હવે માવઠાની કોઈ સંભાવના નથી
સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ઓસરતાં જ રાજ્યમાં હવે માવઠાની કોઇ જ સંભાવના નથી
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ઠંડીને લગઈ આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે છેલ્લા બે દિવસ દરમિયાન ગુજરતના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવતાં હળવોથી ભારે વરસાદ નોંધાયો હતો. શનિવારે દિવસ દરમિયાન મહેસાણાના ખેરાળુ-સાબરકાંઠાના વિજયનગરમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો જ્યારે વડનગર-વડાલી-ખેડબ્રહ્મામાં છૂટાછવાયા ઝાપટાં પડયા હતા.
સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ઓસરતાં જ રાજ્યમાં હવે માવઠાની કોઇ જ સંભાવના નથી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં હવે માવઠાની કોઇ સંભાવના નથી. આગામી 48 કલાક દરમિયાન રાજ્યના લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. જોકે, ત્યારબાદ તાપમાનમાં 2-4 ડિગ્રીનો ઘટાડો નોંધાતાં ઠંડીના ચમકારોમાં વધારો થઇ શકે છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ ઠંડીમાં સાધારણ ઘટાડો નોંધાયો છે અને મોટાભાગના શહેરમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે રહ્યું હતું. ગત રાત્રિએ 18.8 ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. નલિયામાં 3 દિવસ બાદ તાપમાન ગગડીને 14 ડિગ્રી નોંધાઇ શકે છે.
અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 29.8 ડિગ્રી જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન 21.6 ડિગ્રી નોંધાયું હતું. આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 32 જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. આગામી 25 નવેમ્બર બાદ રાજ્યમાં ઠંડીના ચમકારામાં વધારો થઇ શકે છે.