Connect Gujarat
ગુજરાત

નવસારી : અ'સુવિધા કે લિયે ખેદ, બીલીમોરા-વઘઇ વચ્ચે ચાલતી રેલ્વે નેરોગેજ ટ્રેનના સ્ટેશનો બન્યા "ખંડેર"

બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન પુન: નવા રૂપરંગ અને એસી કોચ સાથે શરૂ કરવામાં આવી છે.

નવસારી : અસુવિધા કે લિયે ખેદ, બીલીમોરા-વઘઇ વચ્ચે ચાલતી રેલ્વે નેરોગેજ ટ્રેનના સ્ટેશનો બન્યા ખંડેર
X

ભારતીય રેલ્વેમાં મુસાફરોને સલામતી સાથે વધુ સેવા પૂરી પાડવામાં આવી રહી છે, ત્યારે આદિવાસી વિસ્તારની પ્રજા માટે આશીર્વાદરૂપ બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન પુન: નવા રૂપરંગ અને એસી કોચ સાથે શરૂ કરવામાં આવી છે. પરંતુ સ્ટેશનની જાળવણી આજ દિવસ સુધી ન થતાં મુસાફરોને હાલાકી વેઠવી પડે છે.

બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન પુનઃ શરૂ કરાવવા અનેક પક્ષના નેતાઓનું મેદાને આવી પ્રસિદ્ધિ મેળવવા કોઈ કચાશ બાકી રાખી ન હતી. બીલીમોરાથી વઘઇ સુધી આવેલા ઉનાઈ, કેવડી રોડ, ધોળીકૂવા, રાનકૂવા સહિતના રેલવે સ્ટેશનો પર શૌચાલય તેમજ પીવાના પાણીનો અભાવ સાથે જ કચરાના ઢગ જોવા મળી રહ્યાં છે. બીલીમોરાથી ડાંગ જિલ્લા સુધી પ્રવાસ કરતા મુસાફરોને સ્ટેશન ઉપર કોઈ સુવિધા ન મળતાં પ્રવાસીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા તેમજ શૌચાલયની અનેક યોજનાઓ લાવવામાં આવી છે, ત્યારે રેલ્વે સ્ટેશનો પર શૌચાલયની અસુવિધા સરકારની પોલ ખોલી રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. અહીના રેલ્વે સ્ટેશનો સહિતના જાહેર સ્થળ પર શૌચાલય ખંડેર થઈ ગયા છે. જેથી શૌચાલયની સુવિધા જ ન મળતા આમ જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. રેલ્વે વિભાગની નિરસતાના પરિણામે ગરીબ આદિવાસીઓની જીવાદોરી સમાન બીલીમોરા-વઘઇ રેલવે લાઈન મરણ પથારીએ છે.

જોકે, થોડા સમય માટે બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન બંધ થઈ ગઈ હતી, અને ત્યારબાદ તેને પુનઃ શરૂ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂતો, નોકરિયાતો સહિત વિદ્યાર્થીઓ પણ આ રેલ્વે લાઇનનો ઉપયોગ મોટી સંખ્યામાં કરી રહ્યા છે. જિલ્લાના ચીખલી, વાંસદા તાલુકામાં આવેલ રેલ્વે સ્ટેશનને છેલ્લાં કેટલાંય વર્ષોમાં સુવિધાના નામે માત્ર મીંડું મળ્યું છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે, ઉનાઈ, કેવડી રોડ, ધોળીકૂવા સહિત કેટલાક રેલ્વે સ્ટેશનમાં એકપણ એવી સુવિધા નથી કે, તેને રેલ્વે સ્ટેશન ગણી શકાય. આ અંગે નવસારી રેલ્વે સલાહકાર સમિતિના સભ્યો દ્વારા પશ્ચિમ રેલ્વેના DRMને લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે. પરંતુ રેલ્વે સ્ટેશન બનાવવાની દીશામાં આજ દિન સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી, ત્યારે હવે રેલ્વે વિભાગ દ્વારા વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી અહીના સ્થાનિકોની માંગ છે.

Next Story