નવસારી : પાણીજન્ય રોગના કેસમાં વધારો નોંધાયો
જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું.
નવસારી શહેરમાં પાણીજન્ય રોગના કેસ સામે આવતા જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું છે, ત્યારે લોકોને ક્લોરીન ટેબલેટ આપી પાણીજન્ય રોગને પહોચી વળવા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
એક તરફ રાજ્યભરમાં ચોમાસાની ઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે હવે પાણી ભરાવાના કારણે પાણીજન્ય રોગમાં વધારો નોંધાઈ રહ્યો છે. તો બીજી તરફ નવસારી શહેરમાં આવેલા દશેરા ટેકરી વિસ્તારમાં ડ્રેનેજનું પાણી પીવાના પાણી સાથે ભળી થઈ જતા ઝાડા-ઊલટીના કેસમાં વધારો નોંધાયો છે. દશેરા ટેકરી વિસ્તારમાં 8 જેટલા લોકોને ઝાડા-ઉલ્ટી થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેના પગલે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ પણ દોડતી થઈ છે.
આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ક્લોરીન ટેબલેટ આપવાની શરૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત પાણીજન્ય રોગ સામે લડવા કેવા પગલાં લેવા જોઈએ તે અંગે પણ લોકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.