રાજ્ય પોલીસવડાનો આદેશ : ગ્રેડ-પે આંદોલનને સમર્થન આપનાર 229 પોલીસકર્મી વિરુદ્ધ તપાસ
ગુજરાત રાજ્ય પોલીસ વિભાગના કર્મચારીઓના ગ્રેડ-પેમાં વધારો કરવાના આંદોલનમાં જોડાનાર અને આંદોલનને સમર્થન આપનાર કુલ 229 જેટલા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાએ તપાસના આદેશ આપ્યા છે. જેમાં રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં પોલીસ કર્મચારીઓ સહિત કુલ 27 લોકો મળી કુલ 10 જેટલા ગુન્હા નોંધવામાં આવ્યા છે.
રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાએ પોલીસના ગ્રેડ પે વધારાના આંદોલન મામલે સોશિયલ મીડિયામાં ગેરમાર્ગે દોરતી કોમેન્ટ્સ અંગે પણ કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે. તો બીજી તરફ પોલીસના પ્રશ્નોના નિરાકરણ કરવાના હેતુથી પોલીસ દાદ ફરિયાદ નિવારણ સમિતિ અમલમાં છે, જે મુજબ આજદિન સુધી રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં કુલ 298 દાદ ફરિયાદ સમિતિની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોલીસજવાનોની રજૂઆતના નિરાકરણ માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે 163 બેઠકોનું આયોજન કરી 488 સંવાદ આયોજન કરવા ઉપરાંત પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા પોલીસ કર્મચારીઓ સાથે ચર્ચા-વિચારણા કરવા 1689 જેટલા સંવાદ કાર્યક્રમો કરાયા છે, ત્યારે રાજ્ય પોલીસવડાએ તમામને અપીલ કરી હતી કે, પોલીસ કે, તેમના પરિવારને કોઈ રજૂઆત હોય તો આ બાબતે બનાવેલી સમિતિ સમક્ષ શિસ્ત વિરુદ્ધની કોઈ પ્રવૃત્તિ કરે નહીં. જો કોઈ આ પ્રકારની પ્રવૃત્તિ કરશે તો તેની વિરુદ્ધ કાયદા હેઠળ ગુનો દાખલ કરાશે. જોકે આ બાબતે સૂચના આપી હોવા છતાં વિવિધ શહેર જિલ્લાઓમાં પોલીસ કર્મચારીઓ દ્વારા શિસ્તભંગ કરાયો છે, જે અનુસંધાને રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાના આદેશ બાદ કાર્યવાહી કરવામાં આવી છે.