સુરેન્દ્રનગર : ભોયકા ગામે નદીમાં પૂર આવતાં 3 ગૌવંશના મોત, પશુપાલકને પગભર થવા આર્થિક સહાય અર્પણ કરાય
સુરેન્દ્રનગરના લીંબડી અને ચુડા તાલુકામાં મુશળધાર વરસાદ વરસતા તા. 6 ઓગષ્ટના રોજ ભોયકા ગામની ખારી નદીમાં પૂર આવ્યું હતું.
સુરેન્દ્રનગરના લીંબડી અને ચુડા તાલુકામાં મુશળધાર વરસાદ વરસતા તા. 6 ઓગષ્ટના રોજ ભોયકા ગામની ખારી નદીમાં પૂર આવ્યું હતું.પૂરને કારણે ભોયકાના પશુપાલક ગગુ ભરવાડના 3 ગૌવંશના મોત નીપજ્યા હતા. આજીવિકાનો એકમાત્ર વિકલ્પ પશુઓનું મોત માલધારી પરિવાર પર વજ્રઘાત સમાન બની ગયો હતો. અસહાય માલધારી પરિવારે સરકાર, ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ પાસે મદદની ગુહાર લગાવી હતી.
લીંબડી-ચુડા-સાયલા મત વિસ્તારના કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ બનાવ સંદર્ભે માલધારી પરિવારની મદદ માટે રાજય સરકારમાં રજૂઆત કરી હતી. રાજય સરકાર દ્વારા 14 દિવસોમાં પશુ પાલકને આર્થિક સહાયને મંજૂરી આપી દીધી હતી. પશુપાલકને ફરીવાર પગભર બનાવવા કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, લીંબડી તા.પં.પ્રમુખ, તા.ભાજપ પ્રમુખ દશરથસિંહ રાણા અને શંકર દલવાડીના હસ્તે ગગુ ભરવાડને રૂપિયા 76 હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે લીંબડી મોટા મંદિરના મહંત લાલદાસજીબાપુ, કબીર આશ્રમના મહંત ચરણદાસબાપુ, રામકૃષ્ણ મિશનના સેક્રેટરી પ્રફુલ મહારાજ સહિતના હાજર રહ્યા હતા.